ગુજરાતમાં સરકારે કોરોના રોકવા સમારંભોમાં 400 લોકોની મર્યાદા નક્કી કરી છે. પણ આ નિયમ કોઈ નેતાને નથી નડતો, સત્તા પક્ષ હોય કે વિપક્ષ, મુખ્યમંત્રી હોય કે પછી સરપંચ. ભારતમાં એવું દ્રશ્ય સર્જાયું છે કે સલાહ-સૂચન આપવામાં બધા આગળ છે પણ જવાબદારી નિભાવવી કોઈને નથી, ના સરકારને, ના વિપક્ષ, ના પ્રજાને
વર્ષ 2020 અને 21માં વિશ્વના 54 લાખ લોકોએ મહામારીના કારણે જીવ ગુમાવી દીધા અને 28 કરોડ સંક્રમિત થયા, હવે 2022 આવવાનો છે ત્યાં ઓમિક્રૉનનાં લીધે વિશ્વ આખું ટેન્શનમાં છે કે ફરી લહેર આવશે! યુરોપના દેશોમાં કડક નિયંત્રણો લાગી રહ્યા છે ત્યાં ભારતમાં તો જોરદાર જલસો છે! એવું નથી કે આપણે ત્રીજી લહેર માટે નિયમો ન બનાવ્યા હોય, પણ... આપણાં ત્યાં તો નિયમો બને જ છે પણ જાણે તોડવા માટે. સરપંથી લઈને સાહેબો, કોમન મેનથી લઈને સેલિબ્રિટી...બધા છડે ચોક નિયમો તોડી રહ્યા છે અને પાછા માસ્ક અને સામાજિક અંતરની સલાહો પણ આપે...બસ માત્ર એકબીજાને!
સત્તાપક્ષે જાણે ભીડ ભેગી કરવાના સોગંદ ખાધા હોય
દિગ્ગજ ભાજપ નેતા સૌરભ પટેલે બોટાદમાં કોરોના નિયમોને ક્લિન બોલ્ડ કરી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું, હજારો લોકોને ભેગા કર્યા અને VTVએ સવાલ કર્યો તો પાછી શિખામણ આપી કે બોટાદમાં તો કોરોનાનો એકેય કેસ નથી. માત્ર સૌરભ પટેલ જ નહીં, અનેક ભાજપ નેતાઓ દરરોજ જાતજાતના આયોજનો કરી રહ્યા છે અને પાછા સોશ્યલ મીડિયામાં ફોટો પોસ્ટ કરીને કહે પણ છે, જુઓ કેવી ભીડ છે!
હોઈ શકે કે ભાજપ નેતાઓ પોતાની જ સરકારના મંત્રીને ગણતાં નહીં હોય! કારણ કે હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલે સોમવારે જ નિવેદન આપ્યું કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ છે.
ગુજરાતનાં સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાઈટ કર્ફ્યૂ વધારવાના આદેશ આપ્યા અને 25 ડિસેમ્બરથી તાબડતોબ આદેશ લાગુ ય થઈ ગયો અને શહેરોમાં પોલીસને દોડતી કરી દીધી. જોકે મુખ્યમંત્રીએ પોતે સુરતની અંદર સાયકલોથોનનું આયોજન કર્યું અને વહેલી સવારે ખૂબ જોશ સાથે હાજરી પણ આપી.
ગુજરાતની સામાન્ય જનતા માટે આદેશ જાહેર થયાના કલાકો બાદ જ પાટીલે 'યૂથ ચલા બૂથ'નું આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પહોંચ્યા અને માસ્કના નિયમના લીરેલીરા ઉડાવ્યા. પાછો એનો વીડિયો CM સાહેબે પણ FB પેજ શેર કર્યો! (હોઈ શકે સાહેબોને પહેલેથી જ આયોજનો હશે, એક સમયે લોકોના લગ્ન કેન્સલ થાય પણ આમના પ્રોગ્રામ થોડા કેન્સલ થાય)
મહારાજજીનો કોરોના સામે પણ જબરો વટ
ભાજપ નેતાઓ કહે છે કે યુપીના 'બાબા' જોઈએ છે, ગોરખનાથ પીઠનાં મહારાજજીનો કોરોના સામે પણ જબરો વટ છે, રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ અને લગ્નમાં સીમિત સંખ્યામાં મહેમાનો બોલાવવાના આદેશ તો આપ્યા પણ બીજા જ દિવસે જબરદસ્ત જનમેદનીઓ આયોજિત કરી. મોટા સ્ટેડિયમમાં હજારો યુવાનો ભેગા કર્યા અને હજુ રોડ શો તો ચાલુ જ છે. એટલે જ તો ભાજપના જ નેતા વરુણ ગાંધીને પણ સવાલ થયો કે રાતે જનતા માટે કર્ફ્યૂ અને દિવસમાં લાખોની ભીડ ભેગી કરવાની? મને ગણિત નથી સમજાતું.
ખૈર કંઈ નહીં હવે વરુણ ગાંધીને આ ગણિત સમજાય તો પ્રજાને પણ ખબર પડે કે કયો કોરોના છે જે રાતે જ નીકળે છે અને રેલીઓમાં જતો નથી.
વિપક્ષને થાય તો પછી હું પણ કેમ સત્તાપક્ષને અને કોરોનાને જીતવા દઉં?
હવે સરકાર ભીડ ભેગી કરી તો વિપક્ષ કેમ પાછું પડે? કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી બંને દ્વારા આવા જ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જુદા જુદા જિલ્લાઓમાં સભાઓ આયોજીત કરવામાં આવી રહી છે. જોકે વિપક્ષીઓને એક વસ્તુમાં મજા છે, ભીડ પણ ભેગી કરવાની અને કોરોના ફેલાય તો સરકારને બરાબરની ટીચવાની.
જોકે વાતે વાતે ટ્વિટ કરતાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પણ આ મુદ્દે કોઈ દૂધના ધોયેલાં નથી. પ્રિયંકા ગાંધી 'લડકી હું લડ શકતી હું'ના નામે હજારોની ભીડ ભેગી કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ ભીડને પોતાની શક્તિ બતાવે છે અને પાછા એવું પણ કહે છે કે હું તો વેક્સિન નહીં લઉં, આ ભાજપની વેક્સિન છે!
પ્રજા પણ નિયમો તોડતી જાય, સરકારને ટોણા મારતી જાય
લોકતંત્રમાં જવાબદારીની વાત આવે તો તે બધાના માથે હોય પણ એકબીજાના માથે ઢોળવાની પણ છૂટ મળે. સરકારની જવાબદારી છે નિયમો બનાવી લાગુ કરાવવાની પણ પાળવાની જવાબદારી તો પ્રજાની પણ છે. આનંદ ઉલ્લાસના શોખીન ગુજરાતીઓએ બીજી લહેર ગઈ પછી તો હરવા-ફરવાના સ્થળો અને હૉટેલોમાં ભારે ભીડ જામી છે. પાછું માસ્ક ન પહેરવા માટે અનેક બહાનાઓ બનાવવામાં આવી રહ્યા છે, ઘણા તો દાવો કે છે કે ભઈ હવે તો વેક્સિન ય લઈ લીધી હવે તો ફરવા દ્યો!
"उमड़ा जनसैलाब है, स्पष्ट दिख रहा बाईस में बदलाव है"
उन्नाव में समाजवादी पार्टी विजय यात्रा में अपार जनसमर्थन बता रहा आ रहे हैं श्री अखिलेश। pic.twitter.com/VzVgPZytXn
સલાહો તો PMO હોય કે પાનના ગલ્લા, બસ એકબીજાને અપાતી રહે છે
ગુજરાત શું આખા દેશમાં આજ ટ્રેન્ડ છે, બધા શિખામણ જરૂર આપશે પણ જવાબદારી કોઈ નહીં લે. સવાસો કરોડથી પણ વધુ વસ્તી ધરાવતા દેશમાં જાણે વ્યવસ્થા જેવુ કંઈ રહ્યું જ નથી. દેશના પ્રધાનમંત્રી, જે અનેકવાર લોકોને કહે છે કે માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવો એમની જ યુપીની સભાઓમાં લાખોની ભીડ ભેગી કરવા માટે ભાજપને રીતસર ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે. યુપી જીતવા આખો ડિસેમ્બર મહિનો કાર્યક્રમોથી ભરી દેવાયો.
નેતા તો ઠીક અભિનેતાઓ જવાબદારીની ઍક્ટિંગમાં ફેલ ગયા
જોકે આ તો નેતાઓની વાત થઈ પણ દેશમાં લોકો ક્રિકેટરો અને ફિલ્મી સુપરસ્ટાર્સને પણ આંખ બંધ કરીને ફૉલો કરે છે. પણ કોરોના સામે લડવામાં ફિલ્મી સ્ટાર્સ શું સંદેશ આપી શકે? એ તો બધા પોતે જ રોજ પાર્ટીઓમાં મગ્ન છે. થોડા દિવસ પહેલા જ કરીન કપૂર ખાન કોરોના પોઝિટિવ થતાં બહાર આવ્યું હતું કે તે અનેક પાર્ટીઓમાં સામેલ થઈ હતી, એવામાં તંત્રએ અનેક જગ્યાએ જઈને લોકોના ટેસ્ટ કરવા પડ્યા હતા. આમ મહામારી સામે એક જાગૃતિ અભિયાનની વાત આવે તો આ સિતારાઓ સાવ 'ડિમ' સાબિત થાય.
ઓમિક્રૉન વેરિયન્ટે ભારતમાં દર્દીઓની સંખ્યા 500ને પાર કરી છે અને 2022ની શરૂઆત થવાની છે, 2021ની જેમ સ્મશાનોમાં ખૂટતા લાકડા, મા ગંગામાં તરતી લાશો, પોતાના ઘરનાં લોકોના શ્વાસ માટે ઑક્સીજનનો બાટલો લેવા માટે થતી દોડાદોડ અને અનાથ થતાં બાળકોનાં આંસુ ન જોવા તો પ્રજાએ જાતે જ પોતાની જવાબદારી સમજીને જાતે જ નિયમો બનાવી જાતે જ પાળવા પડશે. દેશમાં 15મી ઓગસ્ટનાં દિવસે જે જુવાળ ઊભો થાય છે તે જ દેશભક્તિની ભાવના પાકિસ્તાનથી હજાર ગણા મોટા દુશ્મન કોરોના સામે ઊભો કરવો પડશે.
ટૂંકમાં વર્તમાન પરિસ્થિતિઓ પરથી કહી શકાય કે જો તમારે કોરોનાથી બચવું હોય તો એક જ ઉપાય છે સ્વબચાવ. સરકાર ખાલી નિયમો બનાવશે અને સલાહો આપશે, જરૂર પડશે તો ગરીબોને દંડા મારીને પાવર બતાવશે અને વિપક્ષી નેતાઓ પોતે નિયમો તોડશે અને હાથ ઊંચા કરીને કહેશે કે જુઓ આ સરકારમાં નિયમો લાગુ કરવાની તાકાત જ નથી.