ચીનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં 425 લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે ભારતમાં એક માહિતી અનુસાર કેરળમાં 3 લોકોમાં કોરોના વાઈરસનો ચેપ મળી આવ્યો છે. જ્યારે દર્દીને હાલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. હાલ હોંગકોંગ, સિંગાપોર અને સિંગાપોરથી આવતા મુસાફરોની એરપોર્ટ પર ખાસ તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે વિશેષ ટીમની પણ એરપોર્ટ પર સગવડતા ઉભી કરી છે.
ચીનમાં કોરોના વાઇરસને કારણે 425 લોકોના મૃત્યુ
ભારતના કેરળમાં 3 કેસ નોંધાયા
14 હજાર લોકોને કોરોના વાઈરસનો ચેપ હોવાનું સામે આવ્યું છે
ચીનની સરકારને મળેલી સત્તાવાર માહિતી અનુસાર દેશમાં કોરોના વાઈરસના કારણે ગઈ કાલ મોડી રાત સુધીમાં વધુ ૬૪ લોકોનાં મોત થયાં છે. કોરોના વાઈરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને હવે ૪૨૫ થઈ ગઈ છે. ચીનના વુહાન પ્રાંતથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસને કારણે સમગ્ર દુનિયામાં ભયનું વાતાવરણ ફેલાયું છે. તેના કારણે સતત વધતા મૃત્યુઆંકની સાથે સાથે ૧૪ હજારથી વધુ લોકોમાં કોરોના વાઈરસનો ચેપ હોવાનું સામે આવ્યું છે.
ભારતમાં કોરોનાની અસર વિશે વાત કરીએ તો, કેરળના ત્રીજા દર્દીમાં કોરોના વાઈરસનો ચેપ મળી આવ્યો છે. આ વ્યક્તિ તાજેતરમાં જ ચીનથી પરત ફરી હતી. દર્દીને હાલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે, જોકે તેની સ્થિતિ હવે સ્થિર છે અને તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેરળમાં કોરોના વાઈરસના કેસ સામે આવ્યાના એક દિવસ બાદ રાજ્ય સરકારે લોકોને આ ખતરા સામે ચેતવ્યા છે, પરંતુ સાથે એવું પણ જણાવ્યું છે કે, કોઈએ ગભરાવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના ત્રણ પોઝિટિવ કેસની ખાતરી થયા બાદ કેરળ સરકારે ખતરનાક કોરોના વાઈરસને 'રાજકીય સંકટ' જાહેર કર્યું છે. રાજ્યના આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ ગઈ કાલે સાંજે આ અંગે જાહેરાત કરી હતી. કેરળના તમામ જિલ્લાઓમાં આ મામલે જરૂરી તમામ પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે, સરકાર એવા લોકોની યાદી તૈયાર કરી રહી છે, જેઓ હાલમાં જ ચીનથી ભારત પરત ફર્યા છે. આ અંગે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો. દરેક શંકાસ્પદ વ્યક્તિને દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.
દરમિયાન, મુંબઈ એરપોર્ટ પર ચીન અને હોંગકોંગ બાદ સિંગાપોર અને થાઇલેન્ડથી આવતા મુસાફરો માટે પણ કોરોના વાઈરસના ચેપની સઘન તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે તપાસમાં મદદ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ૨૫ આરોગ્ય અધિકારીઓની એક વિશેષ ટીમ આપી છે.
કોરોના વાઈરસ અંગે તમામ પૂરતી તકેદારી, તૈયારીઓ અને સતર્કતા હોવા છતાં દેશમાં સતત ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. કોરોનાના શંકાસ્પદ દર્દીઓ સતત વધી રહ્યા છે. ગઈ કાલે સોમવારે દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને હરિયાણામાં પણ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે. આ કારણે કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ તમામ રાજ્યની સરકારને એલર્ટ રહેવા જણાવ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં હજુ પણ મોટો વધારો થશે. સંગઠને કહ્યું છે કે, હજારો શંકાસ્પદ લોકોની તપાસ હાલ ચાલી રહી છે અને તેમના રિપોર્ટ આવવાના બાકી છે, તેથી કોરોનાના કેસમાં મોટો વધારો થશે તે નક્કી છે. ડબ્લ્યુએચઓએ કોરોના વાઈરસને વૈશ્વિક કટોકટી જાહેર કરી દીધી છે.