વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ પ્રાકૃતિક નથી અને તે લેબોરેટરીમાં ઉત્પન્ન કરવામાં આવ્યો છે તેવા આરોપો અત્યાર સુધી માત્ર અમેરિકાથી આવતા હતા પરંતુ હવે દેશનાં વરિષ્ઠ મંત્રી નીતિન ગડકરીએ પણ કોરોના મુદ્દે આવો જ ધડાકો કર્યો છે.
નીતિન ગડકરીએ કહ્યું 'કોરોના એક કૃત્રિમ વાયરસ'
કોરોના સંક્રમણ બાદ પહેલીવાર ભારત સરકાર દ્વારા આવું નિવેદન
અમેરિકા ઘણા સમયથી વુહાનની લેબ લગાવી રહ્યું છે આરોપ
એક ખાનગી ચેનલમાં ઇન્ટરવ્યુ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું 'આપણે કોરોના વાયરસ સાથે જીવતા શીખવું જ પડશે. આ વાયરસ પ્રાકૃતિક નથી તેથી કોરોના સાથેનું જીવન જીવવાની કળા ખૂબ મહત્વ ધરાવે છે. આ એક માનવનિર્મિત વાયરસ છે અને વિશ્વનાં ઘણા દેશો તેની રસી શોધવા પ્રયત્ન કરી રહ્યા છે.
અમેરિકાના આરોપો પર ચીનનો રદિયો
નોંધનીય છે કે કોરોના વાયરસને લઈને દુનિયાના ઘણા અહેવાલમાં ખાસ કરીને અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચીનની વુહાનની એક લેબમાંથી જ આ વાયરસનો ઉદ્ભવ થયો છે જોકે ચીન શરૂઆતથી જ આ આરોપોને રદિયો આપતો રહ્યું છે. ભારત સરકારે અત્યાર સુધી તો આવા અહેવાલો પર મૌન સાધ્યું હતું પરંતુ હવે સરકારના દિગ્ગજ મંત્રીએ કોરોના વાયરસ કૃત્રિમ હોવાનું કબુલ્યું છે.
ભારત સરકાર દ્વારા પહેલીવાર આવું નિવેદન
કોરોના વાયરસના સંક્રમણ પર અમેરિકા અને ચીન પહેલા જ સામસામે આવી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ કોરોના વાયરસને ચાઇનીઝ વાયરસ કહીને સંબોધિત કરે છે. અમેરિકા અને ચીન વચ્ચે કોરોના મુદ્દે વાકયુદ્ધ સમગ્ર દુનિયા જોયું છે એવામાં ભારત પણ જો ચીન પોર લાગેલા આરોપોને સ્વીકારે તો તે નવા વિવાદને નોતરી શકે છે.
કોરોના સામે લડવા ભારત કટિબદ્ધ : ગડકરી
આ સિવાય ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વાયરસ સામે લડવા માટે ભારત અને અન્ય દેશો કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે સંભવત ભારત સહીત દુનિયાના દેશો, વૈજ્ઞાનિકો અને સીસ્ટમ હવે આ વાયરસ સામે લડવા સંપૂર્ણપણે તૈયાર છે. આપણે એક સકારાત્મક વિશ્વાસ વ્યક્ત કરવો જોઈએ. જો એકવાર રસી શોધાઈ પછી તો કોઈ સમસ્યા જ નથી. હું માનું છું કે વહેલામાં વહેલી તકે આપણે આ સમસ્યાનું સમાધાન શોધી શકીશું.
લાખો લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા
વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન છતાં કોરોના વાયરસ રોકાવાનું નામ નથી લેતો. હાલમાં વિશ્વમાં 43 લાખથી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે જ્યારે 2.92 લાખ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. વિશ્વના ઘણા દેશોની સરકારો ચીનમાંથી વાયરસ ફેલાયો હોવાથી ચીન વિરુદ્ધ પગલા લેવાનું વિચારી રહી છે ત્યારે આગામી સમયમાં કોરોના મટે કે ના મટે પણ કોરોના મુદ્દે ચીન સાથે દેશોની ઝઘડો હજુ વધી તેવી સંભાવના છે.