કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આવતીકાલથી 25 માર્ચ સુધી ચાર મહાનગરો લૉકડાઉન રહેશે. રાજ્યમાં કોરોનાના 14 પોઝિટીવ કેસ નોંધાતા નિર્ણય લેવાયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સંપૂર્ણ પણે બંધ રહેશે. તબીબી સેવાઓ, શાકભાજી અને કરિયાણા જેવી જીવન જરુરી વસ્તુઓ સિવાય તમામ વેપાર બંધ રહેશે. મુખ્યમંત્રી નિવાસે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે.
25 માર્ચ સુધી અમદવાદ, સુરત, વડોદરા, રાજકોટ લોકડાઉન
આ દરમિયાન જાણો શું ચાલુ રહેશે
મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઇ હતી બેઠક
કોરોના વાયરસના પગલે ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. કોરના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે.
આ સેવાઓ ચાલુ રહેશે
વીમા કંપનીઓ, બેંક, ATM અને પેટ્રોલપંપ ચાલુ રહેશે. મનપા, પંચાયતની સેવા, વિજ સેવાઓ ચાલુ રહેશે. મીડિયા, સમાચાર પત્રો, ખાદ્ય પદાર્થો, દવા જેવી વસ્તુઓ ઉત્પાદન ચાલુ રહેશે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.
લૉકડાઉન શું હોય છે?
લૉકડાઉન એટલે કોઈ શહેરમાં તમામ એકમો બંધ કરી દેવા
મહત્વના કામ વિના ઘર બહાર નીકળવા પર હોય છે પ્રતિબંધ
જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે જ ઘર બહાર જઈ શકાય
અનાજ, ઔષધિ, હોસ્પિટલ, બેંક જેવા કાર્યો માટે જ બહાર નીકળી શકાય
સ્કૂલ, કોલેજ, જીમ, સ્વિમિંગ પુલ, થિયેટર, મોલ કરવામાં આવે છે બંધ
જાહેર સ્થળો, ગાર્ડન, મંદિર, પર્યટક સ્થળો કરવામાં આવે છે બંધ
ઓફિસોને પણ બંધ કરી દેવાનો લેવાય છે નિર્ણય
APMC માર્કેટ પણ બંધ કરી દેવામાં આવે છે
ચારેય મહાનગરમાં બેડની વ્યવસ્થા કરવા આદેશ
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી 1200 બેડની નવી હોસ્પિટલને કોરોના વાયરસના પોઝિટીવ કેસની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલ આગામી સોમવારથી કાર્યરત થઇ જાય તે માટે મહેસૂલ અધિક મુખ્ય સચિવને જણાવવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના અન્ય 3 મહાનગરો રાજકોટમાં 250 બેડ, વડોદરામાં 250 બેડ તથા સુરતમાં 500 બેડની હોસ્પિટલની સુવિધા ઊભી કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઇ હતી બેઠક
મુખ્યમંત્રી નિવાસસ્થાને CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. રાજ્યમાં કોરોનાની અસર અંગે સમીક્ષા કરાઇ હતી. આરોગ્ય અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર હાજર રહ્યાં હતા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યાં હતા. રાજ્યમાં તકેદારીના ભાગરૂપ થતી કાર્યવાહી અંગે ચર્ચા કરાઈ હતી.
ગુજરાતમાં કુલ 14 કેસ પોઝિટિવ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસના 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 189 લોકોને સેમ્પલ લેવાયા છે. જેમાંથી 148 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 28 રિપોર્ટ આવવાના બાકી છે. આજે કુલ 7 કેસ પોઝિટીવ નોંધાયા છે. અમદાવાદમાં 2, સુરતમાં 2, ગાંધીનગર-વડોદરામાં 1-1 અને કચ્છમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા છે.