કોરોના વાયરસની અસર હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) પર પડી શકે છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સંકેત આપ્યો છે કે, આઈપીએલનું શેડ્યૂલ બદલાઈ શકે છે. કોરોના વાયરસના કારણે ભીડ એકત્રિત થતાં રોકવા માટે સરકાર આઇપીએલ જેવી મોટી ઈવેન્ટ ટાળવાનું વિચારી રહી છે.
28 માર્ચથી શરૂ થવાનું છે IPL
કોરોનાને કારણે થઈ શકે છે રદ
સરકાર આ મોટી ઈવેન્ટ ટાળવાનું વિચારી રહી છે
આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે, મોટી ઈવેન્ટ્સને પહેલાંથી જ રદ કરવામાં આવી રહી છે. લોકોનું જીવન કિંમતી છે. ગીચ સ્થળોએ વાયરસ ફેલાવાનું જોખમ ખૂબ વધારે છે, તેથી અમે આઈપીએલને મોકૂફ રાખવાની સંભાવનાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ, અમે તેના વિશે અભિપ્રાય માંગ્યો છે.
તમને જણાવી દઈએ કે અગાઉ બીસીસીઆઈએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, આઈપીએલ 2020 ચાલુ રહેશે અને કોરોના વાયરસ સંબંધિત તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. કોરોના વાયરસ અંગે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે, આઈપીએલ મેચ યોજાશે. 29 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ આયોજન માટે બોર્ડ દરેક જરૂરી પગલા લેવા તૈયાર છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી અનુસાર, ભારતમાં કોરોના વાયરસના 41 કેસોની પુષ્ટિ થઈ છે. બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના ભયને ધ્યાનમાં રાખીને તમામ સ્ટેકહોલ્ડર્સ, ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝી, એરલાઈન્સ, ટીમ હોટલ્સ, બ્રોડકાસ્ટિંગ ક્રૂ અને આ લીગથી જોડાયેલ તમામ પક્ષોને જરૂરી સાવધાની રાખવા માટે સરકારે સૂચનોનું પાલન કરવાનું કહ્યું છે.
બોર્ડે એમ પણ કહ્યું છે કે, ખેલાડીઓને ચાહકો સાથે હાથ ન મિલાવવાનું કહેવામાં આવશે અને એવા કોઈ જ ડિવાઈસથી ફોટોઝ ક્લિક ન કરે કે જે તેમનું નથી. અત્યાર સુધીમાં, કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 3,300થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેના વધતા જતા ખતરાને લીધે ઘણી સ્પોર્ટ્સ ઈવેન્ટ રદ કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક ઇવેન્ટ વિશે પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે.