ચીનમાં જીવલેણ કોરોના વાયરસ સતત લોકોના જીવ લઈ રહ્યો છે. ચીનમાં કોરોના વાઇરસના કારણે થતાં મોત અટકવાનું નામ લેતાં નથી અને મૃત્યુઆંક વધી ૬૦૦ને પાર કરી ગયો છે. આજે વહેલી સવારે જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૬૩૬ થઈ ગઈ છે. બીજી તરફ અત્યાર સુધીમાં આ ઘાતક વાયરસનો ચેપ ૩૦ હજાર કરતાં પણ વધુ લોકોને લાગ્યો હોવાની સરકારે પુષ્ટિ કરી છે.
કોરોના વાયરસનો કહેર યથાવત
નવા ૩,૦૦૦થી વધુ કેસ નોંધાયા
મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૬૩૬ થઈ
મળતી માહિતી અનુસાર ચીનની સરકારે આજે સવારે માહિતી આપી હતી કે ચીનમાં કોરોનાવાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૩૧,૧૬૧ થઈ ગઈ છે. આવાયરસના ચેપના લગભગ ૩,૧૪૩ નવા કેસ સામે આવ્યા છે.
આવી રહે છે અસર
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ એ વાયરસનો એક મોટો સમૂહ છે, પરંતુ તેમાંથી ફક્ત છ વાયરસ જ લોકોને ચેપ લગાવે છે. તેની સામાન્ય અસરમાં ઠંડી લાગવી, શરદી થવી, પરંતુ સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) એવો કોરોના વાયરસ છે, જેના પ્રકોપથી વર્ષ ૨૦૦૨-૦૩માં ચીન અને હોંગકોંગમાં લગભગ ૬૫૦ લોકોનાં મોત થયાં હતાં.
વુહાનમાં સારવાર કરનાર ડોક્ટરનું નીપજ્યું મોત
ચીનમાં કોરોના વાયરસના ચેપ અંગે સૌથી પહેલી ચેતવણી આપનારા ડોક્ટર લી વેનલિયાંગનું ગઈ કાલે કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું હતું. ચીનમાં કોરોના વાયરસના ઘાતક ચેપ અંગે સૌ પહેલી ચેતવણી જારી કરનારા આઠ વ્હિસલ બ્લોઅર્સમાં વેનલિયાંગનો પણ સમાવેશ થતો હતો, જોકે વેનેલિયાંગે જ્યારે મહામારી કોરોનાની જાણકારી આપી હતી ત્યારે પોલીસે તેમને બહુ હેરાન કર્યા હતા. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું છે કે ૩૪ વર્ષીય ડોક્ટર વેનલિયાંગે અન્ય ડોક્ટરને આ મહામારી વિશે ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો અને ગઈ કાલે ગુરુવારે સૌથી વધુ પ્રભાવિત એવા વુહાનમાં કોરોના વાયરસથી તેમનું મોત નીપજ્યું હતું.
કોરોના વાયરસનાં મૂળ ચીનમાં બહુ જૂનાં છે
ઉલ્લેખનીય છે કે ડોક્ટર લી વેનલિયાંગે ગત વર્ષની ૩૦ ડિસેમ્બરે કોરોના વાયરસથી દુનિયાભરના લોકોને સાવચેત કર્યા હતા. તેમણે પોતાના મેડિકલ સ્કૂલના ઓનલાઇન એલ્યુમની ચેટ ગ્રૂપમાં જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં સાત શંકાસ્પદ દર્દીઓ આવ્યા છે, જેમાં સાર્સ જેવી ગંભીર બીમારીનાં લક્ષણો જોવા મળ્યાં છે. લીએ કહ્યું હતું કે કોરોના વાયરસનાં મૂળ ચીનમાં બહુ જૂનાં છે. ૨૦૦૩માં પણ આ વાયરસે સેંકડો લોકોના જીવ લીધા હતા.
ત્યારબાદ ચીનના આરોગ્ય વિભાગે ડોક્ટર લી વેનલિયાંગની સઘન પુછપરછ કરી હતી, આટલુ જ નહીં વુહાન પોલીસે વેનલિયાંગને નોટિસ ફટકારીને સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓ ન ફેલાવવાના આદેશ પણ આપ્યા હતા. કોરોના વાયરસના સકંજામાં આવનારા વેનલિયાંગે ૧૨ જાન્યુઆરીએ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું. તેમને એક દર્દીના સંપર્કમાં આવતાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.
WHOએ કર્યો ખુલાસો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ ચીનના ડોક્ટર લી વેનલિયાંગના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. ડબલ્યુએચઓના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે અમે ડોક્ટર લી વેનલિયાંગના નિધનથી દુઃખી છીએ.