મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાક અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે.
દર્શનાર્થીઓ માટે આ મંદિર દર્શન સંપૂર્ણ બંધ
ગુજકેટ-GPSCની પરિક્ષા મોકૂફ
મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ હાલની પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો 20 માર્ચથી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરો બંધ રહેશે. બોટાદના સાળંગપુર મંદિરમાં પણ યાત્રીકો માટે દર્શન બંધ રહેશે. જેમાં માત્ર નિયમિત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે, પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.
મુખ્ય સચિવ ડૉ. અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ.કે. દાસ તેમજ સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ કમલ દયાની અને મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારની ઉપસ્થિતીમાં યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો છે.
ગુજકેટ અને GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ
કેટલાક અન્ય પણ મહત્વના નિર્ણયો લેવાયા છે જેમાં રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓ જે 31 માર્ચ સુધીમાં લેવાનારી હતી તે બધી જ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ આગામી 14મી એપ્રિલ પછી લેવામાં આવશે.
કોરાનાને લઈને તેકદારીના ભાગરૂપે કેટલીક પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે. ગુજકેટની જે પરિક્ષાઓ 30મી માર્ચે લેવાની હતી તે પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. તે પરિક્ષા 14 એપ્રિલ પછી લેવામાં આવશે. 31 માર્ચ બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે.
ગુજરાતમાં કોરોનાના જોખમને લઈ GPSCની પરીક્ષા ટળી છે. 22 માર્ચ અને 29 માર્ચે આયોજિત પરીક્ષા મોકૂફ રખાઈ છે. GPSCના ચેરમેન દિનેશ દાસાએ આ અંગે જાહેરાત હતી. અગાઉ ઉમેદવારોએ GPSCની પરીક્ષા મોકૂફ રાખવા અપીલ કરી હતી. ઉમેદવારોની અપીલ અને કોરોની ગંભીરતાને જોતા પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવા બંધ કરાઇ
ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યકિત-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની 16 ચેકપોસ્ટ પર સ્કીનીંગ કરવામાં આવશે તેવો મહત્વનો નિર્ણય પણ બેઠકમાં લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના 2 કેસ પોઝિટિવ
દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા છે અને 20 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ગુરૂવારે કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ આવ્યા છે. સુરત અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમને સારવાર હેઠળ ખસેડાયા છે. આ બન્ને દર્દી વિદેશથી પરત ફર્યા હતા.