ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ ચીનમાં ફસાયા છે. ચીનમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને યુનિવર્સીટીએ બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ એરપોર્ટ પર અટવાયા છે. જેમાં 100થી વધુ ગુજરાતના વિદ્યાર્થીઓ છે. ત્યારે ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું છે.
ચીનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ અંગે DyCMનું નિવેદન
તમામ વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવશેઃ નીતિન પટેલ
વિમાન મોકલીને વિદ્યાર્થીઓને પરત લાવીશુઃ ચૂડાસમા
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ બાદ ત્યાંના ભારતીયો માટે સરકાર ચિંતીત છે અને વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે. સાથે જ ચીનથી વિદ્યાર્થીઓને લાવવા માટે ખાસ વિમાનની પણ વ્યવસ્થા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વિમાન મોકલીને વિદ્યાર્થીઓને પરત લાવીશુઃ ચૂડાસમા
કોરોના વાયરસને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે, ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને સરકાર ચિંતિત છે. વિદ્યાર્થીઓને પરત લાવવા કેન્દ્ર સરકારના સંપર્કમાં છે અમે વિમાન મોકલીને વિદ્યાર્થીઓને પરત લાવીશુ. વિદ્યાર્થીઓને પરત લાવવા સરકારની અગ્રીમતા છે.
ભારતીયોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાઇ છે: MEA
કોરોના વાયરસ સંક્રમણના કારણે ચીનમાં રહેલા ભારતીય નાગિરકો મુદ્દે મંગળવારે વિદેશ મંત્રાલયએ નિવેદન આપ્યું હતું કે ભારતીયોના સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમજ પ્રભાવિત વિસ્તારોમાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ છે. બેઇજિંગમાં ભારતના રાજદૂત ચીન સરકારના સંપર્કમાં છે. ભારતીય રાજદૂત અધિકારી નાગરિકો સાથે સંપર્કમાં છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, સાવરકુંડલા સહિતના જિલ્લાઓના વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા છે. જેને લઇને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય સતર્ક છે. આ વિદ્યાર્થઓના પરિવારજનોએ વહેલી તકે સ્વદેશ પરત ફરવાની વ્યવસ્થા કરાવવા માગણી કરી છે.
31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ફ્લાઇટ મોકૂફ
ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કેટલીક એલાઈન્સ કંપનીએ ફ્લાઈટ રદ કરી છે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ કંપનીએ 31 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ફ્લાઈટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાની મુંબઇ-દિલ્હી-શાંઘાઇની ફ્લાઇટ મોકૂફ રખાઈ છે. જેના કારણે મુસાફરો મુશ્કેલી મુકાયા છે.
AMCની હેલ્થ ટીમે એરપોર્ટ પર ચેકીંગ હાથ ધર્યું
કોરોના વાયરસને લઈ અમદાવાદ એરપોર્ટ એલર્ટ થયું છે. AMCની હેલ્થટીમે એરપોર્ટ પર ચેકીંગ હાથ ધર્યું છે. તેમજ એરપોર્ટ પર 24 કલાક હેલ્થ ટિમ કાર્યરત રહેશે. કોરોના જેવા લક્ષણો દેખાશે તેવા પ્રવાસીઓનું હેલ્થ ચેક-અપ કરાશે. ચેક-અપ કરી શંકાસ્પદ પ્રવાસીઓને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. AMC હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ એરપોર્ટની મુલાકત લીધી હતી.