ભારતમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યાએ ફરીથી રેકોર્ડ તોડી નાંખ્યા છે. આજે આ વર્ષના સૌથી વધારે કેસ સામે આવ્યા છે.
ભારતમાં કોરોનાનો વધતો ગ્રાફ
વિવિધ રાજ્યોમાં તાળાબંધી શરૂ
એક જ દિવસમાં 25 હજાર કેસ
દેશમાં કોરોના વાયરસનો ગ્રાફ ફરીથી ખૂબ તેજીથી વધી રહ્યો છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા વધી રહી છે અને આ વર્ષમાં પહેલી વાર 25 હજારથી વધારે કેસ સામે આવ્યા છે.
કોરોના વાયરસ કેસ અપડેટ :
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 25,317 કેસ સામે આવ્યા છે. 158 દર્દીઓએ કોરોના સામે લડતા લડતા જીવ ગુમાવ્યો છે. 16,637 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. આ પહેલા 16 ડિસેમ્બરે 26,624 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને એક કરોડ 13 લાખ 59 હજાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 1 લાખ 58 હજાર લોકોએ કોરોના વાયરસના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને બે લાખ દસ હજારને પાર થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં મહામારી વિફરી
ભારતમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 15,602 કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે મોત પણ મહારાષ્ટ્રમાં જ થઈ છે. દુનિયામાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં ભારત અત્યારે ત્રીજા નંબરનો સૌથી પ્રભાવિત દેશ છે અને રિકવરીના મામલે અમેરિકા બાદ ભારતમાં સૌથી વધારે રિકવરી થઈ છે. કોરોના વાયરસના કારણે મોતના મામલે ભારત દુનિયામાં ચોથા સ્થાન પર છે.
દેશભરમાં વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં
ભારતમાં કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે. તેવામાં હવે વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધી 2.91 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. એક દિવસમાં રેકોર્ડ 20.53 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. અને અત્યાર સુધી દેશમાં 53.12 લાખ લોકોને બીજો ડોઝ પણ લગાવી દેવામાં આવ્યો છે.
સૌથી વધુ વેક્સિનના ડોઝ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા
સૌથી વધુ વેક્સિનના ડોઝ ઉત્તરપ્રદેશમાં આપવામાં આવ્યા છે. જ્યાં 3.3 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. હાલ દેશમાં 2 વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન આપવામાં આવી રહી છે. જોકે દેશમાં હજુ પણ 6 અન્ય વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. નિષ્ણાતોનો પણ મત છે કે જો કોરોનાને ઝડપથી કાબૂમાં કરવો હશે તો વેક્સિનનો બીજો ડોઝ ઝડપથી લોકોને આપવામાં આવે. જેથી કોરોનાના સંક્રમણથી લોકો બચી શકે.
અમદાવાદ અને સુરત ફરી બની રહ્યા છે કોરોનાનું કેન્દ્ર
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરત ફરીવાર કોરોનાનું કેન્દ્ર બની રહ્યા છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે તો તકેદારીના ભાગરૂપે કોવિડ-19ના નિમયોનું પાલન ગંભીરતા પૂર્વક થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.