ભારતના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં ફરીવાર તેજીથી વૃદ્ધિ જોવા મળી રહી છે.
ભારતમાં ફરી વધ્યા કોરોનાના કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાએ વધાર્યું ટેન્શન
ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ વૃદ્ધિ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસના કેસમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં વૃદ્ધિ જોવા મળી રહી હતી પરંતુ હવે કેરળ, તમિલનાડુ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ગુજરાત,કર્ણાટક અને હરિયાણામાં દૈનિક કેસ સામે આવી રહ્યા છે. આ બધા રાજ્યોની સરકારો અલર્ટ પર છે.
કેન્દ્ર અલર્ટ
કેન્દ્ર સરકાર સતત નવા કેસ મામલે નજર રાખી રહી છે ત્યારે મહારાષ્ટ્ર અને પંજાબમાં કેન્દ્રએ હાઇ લેવલ ટીમ નિયુક્ત કરી દીધી છે જ્યાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે.
ડરાવી રહ્યા છે આ આંકડા
સોમવારે જાહેર કરવામાં આવેલ આંકડાઓ આનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,599 કેસ સામે આવ્યા છે અને સાથે કુલ કેસની સંખ્યા 1,12,29,398 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 97 દર્દીઑએ પોતાના જીવ ગુમાવ્યા છે જે બાદ ભારતમાં કુલ મોતનો આંકડો 1,57,853 થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં મહામારી વિફરી
ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ ખૂબ તેજીથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 11 હજારથી વધારે કેસ સામે આવ્યા છે અને 16 ઓકટોબર બાદ પહેલીવાર આટલા બધા કેસ એક જ દિવસમાં સામે આવ્યા છે. આ પહેલા સતત બે દિવસ સુધી 10 હજારથી વધારે કેસ સામે આવ્યા હતા.
આંશિક લોકડાઉન લાગ્યું
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 11 માર્ચથી 4 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન સવારે 6થી રાત્રિના 9 વાગ્યા સુધી જનજીવન સામાન્ય રહેશે અને તે બાદ કર્ફ્યૂ લગાવી દેવામાં આવશે. આ સિવાય શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.
ગુજરાતમાં પણ વધી ચિંતા
મહારાષ્ટ્રની સાથે મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસથી 500થી વધારે કેસ સામે આવી રહ્યા છે.