ચીનમાં મહામારીનું રૂપ લઈ ચૂકેલો કોરોના વાયરસ હવે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) કરતાં પણ વધુ ખતરનાક બની ગયો છે. ચીનમાં આજે સવાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને ૭૨૨ થઈ ગઈ છે. આ આંકડો બે દાયકા પહેલા ચીન-હોંગકોંગમાં ફેલાયેલા સાર્સથી મૃત્યુ પામનારા લોકો કરતાં પણ વધી ગયો છે.
કોરોના વાયરસ બન્યો ખતરનાક
સાર્સ કરતાં પણ વધારે ખતરનાક છે કોરોના વાયરસ
કોરોના વાયરસથી ૭૨૨ લોકોના મોત નીપજ્યા
નોવેલ કોરોના વાયરસ અને સાર્સ એક જ શ્રેણીના વાયરસ છે. વર્ષ ૨૦૦૨-૨૦૦૩માં ચીન અને હોંગકોંગમાં સાર્સથી લગભગ ૬૫૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં. દુનિયાભરમાં ૧૨૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ચીનના હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર ગઈકાલે શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના કારણે ૭૩ લોકોનાં મોત થયાં છે. આજે સવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, ૩,૩૯૯ નવા કેસ સામે આવ્યા છે. ચીનમાં 34,939 કેસની સત્તાવાર પુષ્ટિ થઈ છે.
એક દર્દીએ 10 આરોગ્યકર્મીને ચેપ લગાડ્યો
ચીનના વુહાન શહેરની એક હોસ્પિટલમાં જાન્યુઆરીમાં ૪૦ આરોગ્યકર્મીઓને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. વુહાન યુનિવર્સિટીની ઝોંગનાન હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા લખવામાં આવેલા પત્ર અનુસાર, સર્જિકલ વિભાગમાં દાખલ કરાયેલા એક દર્દીના કારણે ૧૦ આરોગ્યકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેમનો ચેપ અન્ય કર્મચારીઓને પણ લાગ્યો હતો. હોસ્પિટલમાં દાખલ અન્ય ૧૭ દર્દીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. ૧ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમિયાન ૧૩૮ દર્દીઓને કોરોનાનો ચેપ લાગતાં તંત્ર દોડતું થયું હતું.
જાપાનમાં જહાજમાં ફસાયા ભારતીયો
બીજી તરફ, કોરોના વાયરસના ચેપને કારણે જાપાનના પોર્ટ પર છોડી દેવામાં આવેલા જહાજમાં અનેક ભારતીયો પણ ફસાયેલા છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વિટ કર્યું હતું કે, ઘણા ભારતીય ક્રૂ મેમ્બર અને યાત્રીઓ કોરોના વાયરસને કારણે જહાજમાં ફસાયેલા છે. હજુ સુધી કોઈનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી. અમે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
કોરોના વાયરસને વકરતો અટકાવવા લેવાયા આ પગલાં
ભારત સરકારે જીવલેણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રયાસોને વધુ સઘન બનાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને રાજ્યસભામાં જણાવ્યું કે, સરકારે ચીન, સિંગાપોર, થાઇલેન્ડ અને હોંગકોંગથી આવતા તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચીનથી આવતા વિદેશીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે. આ ચાર દેશોમાંથી આવતી તમામ ફ્લાઇટ સ્ક્રીનિંગ માટે એરપોર્ટ પર એક નિશ્ચિત સ્થાન પર રોકાશે. સરકારે દેશનાં ૨૧ એરપોર્ટ અને ૧૨ મોટા બંદર (પોર્ટ) પર આ વ્યવસ્થા અમલી બનાવવાનો નિર્ણય લીધો છે.