વિશ્વમાં કોરોનાનો ભય ફેલાયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ, ભરૂચ, સુરત અને હિંમતનગરનો સમાવેશ થાય છે. જોકે જેમની તપાસ થઇ છે તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્ય સરકાર કોરોના વાઇરસની સંભવિત અસરોને લઇને સતર્ક થઇ છે.
અમદાવાદ: કોરોના વાયરસને લઈને તંત્રની બેઠક
અમદાવાદમાં 28 દર્દીઓનું કરાયું સ્ક્રિનિંગ
એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ નહીં: DyCM
કોરોના વાયરસને કારણે ગુજરાતમાં તંત્ર અલર્ટ થયું છે. અમદાવાદમાં 28 જેટલા દર્દીઓના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના પગલે તંત્રની મહત્વની બેઠક મળી હતી. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી. તેમજ કોરોના વાયરસને પહોંચી વળવા તંત્ર તરફથી તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 25થી વધુ લોકોના સેમ્પલ લેવાયા છે.
વધુમાં નીતિન પટેલે કહ્યું હતું કે, કોઇ કેસ પોઝિટીવ નથી તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર લઇ શકે તે માટેના ખાસ આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પણ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હજુ સુધી એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથીઃ મુખ્યમંત્રી
આ અગાઉ કોરોના વાયરસ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ હતું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર સ્કેનિંગ કરવા માટે સુવિધાઓ મુકવામાં આવી છે. રાજ્યમાં હજુ સુધી એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. રાજ્યમાં શંકાસ્પદ એક કેસ નોંધાયો હતો, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવેલા મુસાફરોને વાયરસનું અનુમાન થશે તો આઈસોલેશન કરાશે. સરકાર દ્વારા તમામ પ્રકારથી તૈયારીઓ કરવામાં આવી છે. સીએમ રૂપાણીએ હાથ મિલાવવા કરતા નમસ્કાર કરવાનો આગ્રહ રાખવા માટે જણાવ્યું હતું.
કોરોના વાયરસ ગુજરાતમાં ન આવે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત રાજયની વિવિધ સરકારી હોસ્પિટલોમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ જરૂરી સ્ટાફ, દવા અને સારવાર સહિતની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે.