તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થનારા વિદેશી નાગરિકો પર કેન્દ્ર સરકાર ગાળિયો કસતી નજરે પડી રહી છે. પ્રવાસી વિઝા પર ભારત આવનારા 960 વિદેશી નાગરિકો પર આગામી 10 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ નાગરિકો પર વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાને લઇને ભારતમાં આવવા પર 10 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 2550 તબલીગી જમાતના વિદેશી સભ્યોને બ્લેકલિસ્ટ કરાયા છે
તેમના પર આરોપ છે કે કોરોના વાયરસના સંક્રમણના શરૂઆતી સમયગાળામાં આ લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને ગેરકાયદાકીય રીતે એકઠા થયા હતા. આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 2550 તબલીગી જમાતના વિદેશી સભ્યોને બ્લેકલિસ્ટ કરી દેવાયા છે.
છેલ્લા ગુરુવારે દક્ષિણ દિલ્હી સ્થિત સાકેત કોર્ટમાં 12 નવી ચાર્જશીટ દાખલ કરાઇ, જેમા 541 વિદેશી નાગરિકોને આરોપી બનાવાયા. પોલીસ અત્યાર સુધીમાં કુલ 47 ચાર્જશીટ ફાઇલ કરી ચૂકી છે. જેમા 900થી વધારે જમાતીઓને આરોપી બનાવામાં આવ્યા. ત્યારે બતાવાઇ રહ્યું છે કે બ્લેકલિસ્ટ કરાયેલા લોકોની સંખ્યા વધી શકે છે.
ગત મહીને કોર્ટમાં પોલીસે કહ્યું હતું કે તબલીગી જમાતના લોકોએ પ્રવાસી વિઝા પર ભારતમાં એન્ટ્રી મેળવી અને વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું. તથા તેમના કારણે કોરોના વાયરસના કેસ વધ્યા હોય તેવુ સામે આવ્યું. પોલીસે કહ્યું કે નોટિસ મળવા છતા મરકજના મેનેજમેન્ટ અને તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે નિયમોનું ઉલ્લંઘન કર્યું.
આ ઇસ્લામીક સંગઠન સાથે જોડાયેલા 250 વિદેશીઓ સહિત 2300 લોકોની વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ તબલીગી જમાતના વિદેશી સભ્યોની વિરુદ્ધ પહેલીવાર કાર્યવાહી કરાઇ હતી. તેઓે માર્ચમાં દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત બાદ દક્ષિણ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકજમાં રોકાયા હતા. તેમાંથી ઘણા લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું હતું.