નિષ્ણાંતોનું એવું માનવું છે કે, જો કોરોના વાયરસ સ્થાનિક જ રહેશે એટલે કે તે સંપૂર્ણ રીતે નાબૂદ નથી થતો અને તે સતત આપણી વચ્ચે જ રહે છે અને લોકોને સંક્રમિત કરે છે, તો આવી સ્થિતિમાં દર વર્ષે રસી લગાવવાની જરૂર પડી શકે છે, પરંતુ અત્યારે તેના વિશે કંઈ કહી શકાય નહીં.
નિષ્ણાંતનું ચોંકાવનારું નિવેદન
દર વર્ષે વેક્સિન લગાવવાનું કારણ શું?
જાણો કેમ આપ્યું આ પ્રકારનું નિવેદન?
તમને જણાવી દઇએ કે, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના લીધે ત્રીજી વેવ બાદ હવે દેશમાં મોટી રાહત જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો જ નહીં પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ લોકોને કોરોનાની રસી લેવા માટે સતત અપીલ કરી રહ્યાં છે. કોરોનાના બંને ડોઝ ઉપરાંત, ભારતમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યાં છે. તો બીજી બાજુ 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોરોના રસી આપવા માટેની મંજૂરી આપી દેવાઇ છે. આ સાથે જ નાના બાળકો માટે ટ્રાયલ ચાલુ છે. ટૂંક સમયમાં જ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ રસીને મંજૂરી મળી શકે છે. આવી સ્થિતિમાં, ફ્લુની જેમ કાયમી યથાવત રહેવા તરફ આગળ વધી રહેલા કોરોનાને લઈને એક પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે કે શું કોરોના વેક્સિન દેશમાં નિયમિત રસીકરણમાં સામેલ થઇ જશે? શું તેનો બાળકો કે પુખ્ત વયના લોકો માટે નિયમિત રસીમાં સમાવેશ કરી શકાય?
ભારતમાં હજુ સુધી એવી સ્થિતિ નથી સર્જાઇ તેનો કાયમી રસી તરીકે સમાવેશ કરવામાં આવે
આ અંગે ICMR જોધપુર સ્થિત NIIRNCD (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન રિસર્ચ ઓન નોન-કમ્યુનિકેબલ ડિસીઝ) ના ડાયરેક્ટર અને કોમ્યુનિટી મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડૉ. અરુણ શર્માનું કહેવું છે કે, ભારતમાં હજુ સુધી એવી સ્થિતિ નથી સર્જાઇ તેનો કાયમી રસી તરીકે સમાવેશ કરવામાં આવે. વેક્સિનના અનેક ટેકનિકલ પાસાંઓ છે. પ્રથમ વય અને રોગને ધ્યાનમાં રાખીને શ્રેણીઓ બનાવવામાં આવી અને લોકોને કોરોનાના બે ડોઝ આપવામાં આવ્યાં. બંને ડોઝથી સારી એવી ઇમ્યુનિટી બની અને કોરોનાના નવા-નવા વેરિઅન્ટો આવ્યા બાદ એવું જોવામાં આવ્યું કે, લોકોને હવે બૂસ્ટર ડોઝની જરૂરિયાત છે. આવી સ્થિતિમાં, માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ બૂસ્ટર ડોઝ લાગુ કરવાનું શરૂ કરી દેવાયું. ભારતમાં તેને હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે શરૂ કરી દેવામાં આવેલ છે.
.....તો કદાચ લોકોને દર વર્ષે વેક્સિન લગાવવાની જરૂર પડી શકે
ડૉ. શર્માનું કહેવું છે કે, કોરોના વેક્સિનથી રોગપ્રતિકારક શક્તિને લઈને સતત સંશોધન અને અભ્યાસો થઈ રહ્યાં છે, પરંતુ આ બીમારીને આવ્યે ઘણો લાંબો સમય નથી થયો, આથી તેના પરિણામો આવતા સમય લાગશે. ત્યાર બાદ જોવામાં આવ્યું કે, જો કોરોના વેક્સિનનાં બંને ડોઝ અથવા બૂસ્ટર ડોઝ એમ બંને લગાવ્યા બાદ ઇમ્યુનિટી થોડા સમય માટે બની રહી છે, જેમ કે 6 મહિના કે 1 વર્ષ જેવાં ટૂંકા સમયગાળા માટે રહી છે અને વાયરસ હવે સ્થાનિક ઘર કરી રહ્યો છે એટલે કે સંપૂર્ણ રીતે તે સમાપ્ત નથી થયો. તે સતત લોકોને સંક્રમિત કરતો રહે છે, તો આવી સ્થિતિમાં કદાચ લોકોને દર વર્ષે વેક્સિન લગાવવાની જરૂર પડી શકે છે, પરંતુ અત્યારે આ બાબતે કંઈ જ કહી શકાય નહીં. હાલમાં આ અંગે કોઈ ચર્ચા પણ નથી કરાઇ.
રસી સંક્રમણને નથી અટકાવતી શકતી પરંતુ સંક્રમણની અસરને જરૂરથી ઓછી કરે છે
ડૉ. અરુણ કહે છે કે, માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ બૂસ્ટર ડોઝ બાદ કોરોનાના કેસોમાં વધારે નિયંત્રણ આવી ગયું છે. જો કે બૂસ્ટર ડોઝ પછી પણ તે દેશોમાં ચોથી અને પાંચમી લહેર આવી હતી પરંતુ મૃત્યુદર પર ઘણો કંટ્રોલ હતો. કોરોના રસીકરણ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે, રસી સંક્રમણને અટકાવતી નથી શકતી પરંતુ સંક્રમણની અસરને ઓછી કરે છે. એટલે કે, ગંભીર સંક્રમણ થતા અટકાવે છે અને આ રોગથી થતા મૃત્યુમાં પણ ઘટાડો કરે છે.