ભારતમાં કોરોના વાયરસની વેક્સિનનો ડોઝ આપવામાં આવે તે પહેલા સરકાર દ્વારા તેને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે પહેલા ચરણમાં કોરોના વાયરસની રસી ત્રણ કરોડ લોકોને મફતમાં આપવામાં આવશે.
ભારતમાં કોરોના વાયરસની રસી મફતમાં આપવામાં આવશે
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ કરી મોટી જાહેરાત
દેશભરમાં આજે યોજાઇ રહ્યું છે ડ્રાયરન
વેક્સિન પર સરકારની સૌથી મોટી રાહત
ભારતમાં કોરોના વાયરસની રસી કરોડો લોકોને આપવા માટે સરકાર દ્વારા તડમાર તૈયારી કરવામાં આવી રહી છે. નાગરિકોને વાયરસની વેક્સિનનો ડોઝ આપવામાં આવે તે પહેલા આજે દેશના બધા જ રાજ્યોમાં તેને લઈને મોકડ્રિલ યોજવામાં આવી રહી છે. ભારતમાં કોરોના વાયરસની રસી મુદ્દે કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા માટે સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે ત્યારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વાયરસની વેક્સિન પર ખૂબ મોટું નિવેદન આપ્યું છે.
દેશભરમાં મફતમાં મળશે વેક્સિન
દેશમાં કોરોના વાયરસની રસી માટે થઈ રહેલા ડ્રાયરનની વચ્ચે દેશના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે દેશભરમાં પહેલા ચરણમાં જે લોકોને વેક્સિન મળશે તેમને કોરોના વાયરસની રસી મફતમાં આપવામાં આવશે. દિલ્હીમાં કોરોના વેક્સિનેશનના ડ્રાયરનની સમીક્ષા કરવા આવેલા હર્ષવર્ધને પત્રકારો સાથે વાતચીત માં કહ્યું કે દિલ્હી જ નહીં આખા દેશમાં કોરોનાની વેક્સિન મફતમાં આપવામાં આવશે.
#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S
સ્વાસ્થ્ય મંત્રી કહ્યું કે પ્રથમ ફેઝમાં ત્રણ કરોડ લોકોને આ મફતમાં વેક્સિન આપવામાં આવશે જેમાં એક કરોડ જેટલા હેલ્થ વર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સન સમાવેશ થાય છે. જુલાઇ સુધીમાં જે બીજા 27 કરોડ લાભાર્થીઓને કોરોનાની વેક્સિન આપવામાં આવશે તેના પર નિર્ણય પાછળથી લેવામાં આવશે.
પહેલા જાહેરાત પછી સ્પષ્ટતા
નોંધનીય છે કે હર્ષવર્ધને પહેલા એવી જાહેરાત કરી દીધી કે કોરોના વાયરસની રસી દેશભરમાં ફ્રીમાં આપવામાં આવશે પણ બાદમાં તેમણે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે કોરોના વાયરસની રસી આપવાના અભિયાનમાં પહેલા ચરણમાં જે ત્રણ કરોડ લોકો છે તેમને ફ્રીમાં રસી આપવામાં આવશે અને તે બાદના 27 કરોડ લોકો માટેના નિર્ણય માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તેમણે એમ પણ અપીલ કરી હતી કે કોરોના વાયરસની વેક્સિન પર ફેલાઈ રહેલા અફવાઓ પર ધ્યાન ન આપવું.
આજે થઈ રહ્યું છે ડ્રાય રન
દિલ્હીમાં કોરોના ડ્રાયરનની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન દિલ્હીના ગુરુ તેગબહાદુર હોસ્પિટલ પહોંચ્યા હતા. નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસનું રસીકરણ શરૂ કરવામાં આવે તે પહેલા આજે દેશભરમાં તેના માટે ડ્રાય કરવામાં આવી રહ્યું છે. આ ડ્રાય રનમાં કોરોનાની રસી આપવા માટે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે અને મોકડ્રીલ યોજાઇ રહી છે. દેશના બધા જ રાજ્યોમાં કુલ 116 જિલ્લાઑમાં એક સાથે આ અભિયાન આજે ચાલુ કરવામાં આવ્યું છે જેમાં 259 વેક્સિનેશન બૂથ ઊભા કરવામાં આવ્યા છે. આ ડ્રાયરનમાં કોરોનાની રસીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી પરંતુ માત્ર તપાસ કરાઇ રહી છે કે જે યોજના બનાવવામાં આવી છે તે પ્રમાણે કામ થઈ શકે છે કે નહીં.
ભારતમાં કોરોના વાયરસના આશરે એક વર્ષમાં એક કરોડ જેટલા લોકો સંક્રમિત થયા છે અને લાખો પરિવારોએ પોતાના સ્નેહીજન ગુમાવ્યા છે ત્યારે આ મહામારી સામે લડવા માટે સૌથી મોટો હથિયાર વેક્સિન પણ ભારતને મળી ગઈ છે ત્યારે સરકાર અને જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.