ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે ત્યારે ભારત બાયોટેકની રસી માટે મોટા સમાચાર સામે આવ્યા છે.
ભારતમાં સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ
ભારત બાયોટેક કંપનીને વેક્સિનના બૂસ્ટર ડોઝને અપાઈ મંજૂરી
બીજા ડોઝના 6 મહિના બાદ આપવામાં આવશે ત્રીજો ડોઝ
ત્રીજા બૂસ્ટર ડોઝને મળી મંજૂરી
એક્સપર્ટ પેનલ દ્વારા ભારત બાયોટેકની કોવેક્સિનમાં ત્રીજા ડોઝને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્રીજો બૂસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહિના બાદ આપવામાં આવશે. આ બૂસ્ટર ડોઝથી ફાયદોએ થશે કોરોના વાયરસના નવા વેરિયન્ટ સામે પણ રક્ષણ મળી શકશે.
કેમ લેવાયો આ નિર્ણય?
નોંધનીય છે કે ભારત બાયોટેક દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો ત્રીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે તો કેટલાય વર્ષોથી શરીરમાં ઈમ્યુનિટી બની જશે. જે બાદ એક્સપર્ટ પેનલ દ્વારા ત્રીજા ડોઝને મંજૂરી આપી દેવામાં આવી છે. એક્સપર્ટ પેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત બાયોટેક પહેલા ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોએ ભાગ લીધો હતો તેમને વેક્સિનનો ત્રીજો ડોઝ આપે.
પહેલા ક્લિનિકલ ટ્રાયલવાળા લોકોને અપાશે ત્રીજો ડોઝ
નોંધનીય છે કે ક્લિનિકલ ટ્રાયલમાં ઘણા બધા લોકોને વેક્સિનના બે ડોઝ આપી દેવામાં આવ્યા છે તેમને પહેલા આ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેક ત્રીજા ડોઝ આપ્યા બાદ છ મહિના સુધી નજર રાખશે જેથી કોરોના સામેના બદલાવો જાણી શકાય. સાથે જ સાઈડ ઈફેક્ટ માટે પણ નજર રાખવામાં આવશે. ભારત બાયોટેક સમગ્ર પ્રક્રિયાની સ્ટડીની રિપોર્ટ સરકારને સોંપશે જે બાદ એક્સપર્ટ પેનલ દ્વારા તેની તપાસ કરવામાં આવશે.
કોરોના વાયરસ કેસ અપડેટ
શુક્રવારે કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં નવા 81 હજાર 466 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ અનુસાર કોરોના વાયરસનો કહેર હવે 6 મહિનાના ટોપ પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યાં મોતનો આંકડો 1 લાખ 63 હજારને પાર થઈ ગયો છે.
આઠ રાજ્યો વધારી રહ્યા છે ટેન્શન
નોંધનીય છે કે આંકડા અનુસાર ભારતમાં આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જે આંકડાઓ સામે આવ્યા છે તેમાંથી 84.61% કેસ આ આઠ રાજ્યોમાંથી જ સામે આવી રહ્યા છે. આ આઠ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.