ભારતમાં એક સાથે બે બે કોરોના વાયરસની રસીને મંજૂરી મળી જતાં કરોડો નાગરિકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે ત્યારે પીએમ મોદીએ પણ દેશવાસીઑને શુભકામનાઓ પાઠવી છે.
ભારતમાં બે કોરોના વાયરસની વેક્સિનને મળી મંજૂરી
સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની વેક્સિનને મંજૂરી
પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી શુભકામનાઓ
ભારત માટે 'હેપ્પી ન્યૂ યર'
આજે મહામારી સામે ભારતમાં સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે જેમાં ભારતમાં બે બે કોરોના વાયરસની રસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં હજારો પરિવારોએ પોતાના સ્નેહીજનો કોરોના વાયરસના કારણે ગુમાવ્યા છે અને લાખો લોકો વાયરસની સંક્રમિત થયા છે ત્યારે હવે કોરોના વાયરસની રસી આવી જવાના કારણે ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો છે. ભારતમાં એક સાથે બે બે કોરોના વાયરસની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આજે DCGI દ્વારા કોરોના વાયરસની રસી પર એલાન કર્યા બાદ પીએમ મોદીએ પણ ડોકટરો અને વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે દેશને શુભકામનાઓ પણ પાઠવી.
પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભકામનાઓ
ભારતમાં કોરોના વાયરસની રસીને મંજૂરી મળતા જ પીએમ મોદીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કોરોના સામેની લડતમાં આ એક નિર્ણાયક વળાંક છે. કોરોના વાયરસની બે રસીને મંજૂરી મળતા હવે કોરોનામુક્ત ભારતનો રસ્તો સરળ બનાશે. પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી અને સાથે સાથે તનતોડ મહેનત કરી રહેલા વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને પણ પીએમ મોદીએ વધાવ્યા.
ભારત માટે ગર્વની વાત : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક ભારતીયને ગર્વ થશે કે ભારતમાં જ બનેલી કોરોના વાયરસની રસીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. આ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા વૈજ્ઞાનિકોને ઉત્સાહને દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે અમે તબીબો, હેલ્થ વર્કર્સ, વૈજ્ઞાનિકો, પોલીસ કર્મચારીઓ, સ્વચ્છતા કર્મચારીઓ અને બધા કોરોના યોદ્ધાઑ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યો માટે તેમનો આભાર વ્યક્ત કરી છે . કેટલાય લોકોને જીવ બચાવવા માટે અમે તેમના આભારી છીએ.
ભારતમાં કોરોના વાયરસની રસીને DCGIએ આપી મંજૂરી
ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે સૌથી મોટો હથિયાર મળી ગયો છે જેમાં DCGIએ આજે એલાન કર્યું કે ભારતમાં કોરોના વાયરસની બે વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા પહેલી જનયુઆરીએ કોવિશિલ્ડ અને બીજી તારીખે બાયોટેકની વેક્સિનને સ્વાસ્થ્ય મંત્રાલયની સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી જેને હવે સર્વોચ્ચ સંસ્થાએ પણ કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. DCGIએ કહ્યું કે બંને વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે આ તેનો ઉપયોગ ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવશે. આ બંને વેક્સિનમાં બે બે ડોઝ આપવામાં આવશે.
નોંધનીય છે કે આ બંને વેક્સિનને 2થી 8 ડિગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે અને તેનો સાર્વજનિક ઉપયોગ કરી શકાશે. નોંધનીય છે કે DCGIએ આ પહેલા કોરોના વાયરસની વેક્સિન પર સમીક્ષા અને તેના આંકડાઓનું અધ્યયન કર્યું હતું અને તે બાદ મંજૂરી આપવામાં આવી છે.