અમદાવાદમાં મનપાની સરવે કરવા ફરતી ટીમને લોકો સહયોગ આપતા નથી અને ગૃહિણીઓ ટીમને જોઈ બારણાં વાસી દે છેઃ કોમોર્બિડિટી ધરાવતા નાગરિકનો ૪૦ ટકા ડેટા મળશે નહીં
વેક્સિન આપીને કોરોનાના ડરથી મુક્ત કરાશે
તંત્ર પણ સ્તબ્ધ બન્યું
હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજ વેક્સિન બાદ પણ બન્યા કોરોનાગ્રસ્ત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનના પ્રોડક્શનમાં અંગત રસ દાખવીને ૨૯ નવેમ્બરે અમદાવાદ આવ્યા હતા. તેમણે ઝાયડસ બાયોટેક પાર્ક તરીકે ઓળખાતા રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેઓ હૈદરાબાદ અને પુણેની ફાર્મા કંપનીની મુલાકાતે પણ ગયા હતા. અત્યારે દેશમાં કોરોના વેક્સિનેશનને લગતી તૈયારી જોશભેર ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશને પણ બજારમાં વેક્સિન આવ્યા બાદ તત્કાળ તેને શહેરીજનોને આપવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. જાન્યુઆરીના બીજા કે ત્રીજાં અઠવાડિયાંમાં ફર્સ્ટ ફેઝમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને વેક્સિન અપાય તેવી શક્યતા છે. સેકન્ડ ફેઝમાં પોલીસ, હોમગાર્ડ્સ વગેરે અને થર્ડ ફેઝમાં સિનિયર સિટીઝન અને છેલ્લા ફેઝમાં ૫૦ વર્ષથી નીચેના અને કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકોને વેક્સિન આપીને કોરોનાના ડરથી મુક્ત કરાશે.
તંત્ર પણ સ્તબ્ધ બન્યું
જોકે આઘાતજનક બાબત એ છે કે વિવિધ મીડિયામાં વેક્સિનની આડઅસરને લઈને વહેતા થયેલા ભિન્ન ભિન્ન અહેવાલના પગલે અત્યાર સુધી કોરોનાથી ભયભીત અમદાવાદીઓમાં વેક્સિનનો ડર પેઠો છે. જો વેક્સિન લઈશું તો બે વર્ષે પણ તેની કોઈ આડઅસર તો નહીં થાય ને તેવી દહેશત અનેક લોકોમાં ફેલાઈ હોઈ તંત્ર પણ સ્તબ્ધ બન્યું છે.
હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજ વેક્સિન બાદ પણ બન્યા કોરોનાગ્રસ્ત
હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજ સ્વદેશી વેક્સિનના ત્રણ તબક્કાની ટ્રાયલમાં સૌપ્રથમ વોલિન્ટિયર બન્યા હતા. તેમણે ૨૦ નવેમ્બરે કોવેક્સિનના બે ડોઝની ટ્રાયલમાં પહેલો ડોઝ લીધો હતો. જોકે તેઓ ૪ ડિસેમ્બરે કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર દેશમાં વેક્સિનની સફળતા વિવાદાસ્પદ બની હતી. ત્યાર બાદ ચેન્નઈના વોલેન્ટિયરને કોરોનાની કોવિડશીલ્ડ વેક્સિનથી ન્યૂરોલોજિકલ બ્રેકડાઉન થયાનો વિવાદ ઊઠ્યો હતો.
ફાઇઝરે પણ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે ભારતીય દવા નિયામકની મંજૂરી માગી
જોકે વિદેશમાં પણ વેક્સિનની આડઅસર થવાથી વોલેન્ટિયરને લકવાનાં લક્ષણ દેખાયાં હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે. સામાન્ય રીતે વેક્સિનની એપ્રૂવલમાં ચાર વર્ષથી વધુ સમય લાગે છે, પરંતુ કોરોના મહામારીના પ્રકોપમાં સમગ્ર વિશ્વ લપેટાયું હોઈ કટોકટીની સ્થિતિમાં કોરોનાની વેક્સિનને વચગાળાની મંજૂરી આપી શકાય છે. સ્વદેશી કંપની ઉપરાંત અમેરિકન કંપની ફાઇઝરે પણ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે ભારતીય દવા નિયામકની મંજૂરી માગી છે.
બીજી તરફ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરાયું છે. ગત તા. ૨૬ નવેમ્બરથી આ હોસ્પિટલમાં કોવાક્સિનની થર્ડ ફેઝની ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ વોલેન્ટિયરને વેક્સિનની આડઅસર થઈ હોય તેવા સમાચાર મળ્યા નથી. તેમ છતાં અનેક અમદાવાદીઓમાં વેક્સિનની આડઅસરને લઈને અજાણ્યો ભય ફેલાયો હોઈ ઘરે ઘરે સરવે કરવા ફરતી ટીમને પૂરતો સહયોગ આપતા નથી.
શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ગૃહિણીઓ ટીમને જોઈને ફટાફટ ઘરનાં બારણાં વાસી રહી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. ભણેલા-ગણેલા લોકોની વસ્તી છે તેવા પોશ વિસ્તારમાં પણ વેક્સિનનો ઓછા-વધતા અંશે ખોફ જોવા મળ્યો છે.
કોરોનાની હાલની સેકન્ડ વેવ સિનિયર સિટીઝન માટે જોખમી
કોરોનાની હાલની સેકન્ડ વેવ સિનિયર સિટીઝન માટે જોખમી છે. છતાં પણ ૫૦ વર્ષથી ઉપરના વૃદ્ધોની માહિતી સરવે ટીમને અપાતી નથી. વેક્સિનની આડઅસરથી માથાનો દુખાવો, તાવ, ચીડિયાપણું, માનસિક તણાવ થવાની બીક લોકોમાં છે. સોશિયલ મીડિયામાં પણ લોકોને ભડકાવે તેવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં વેક્સિનેશનને ગ્લોબલ કૌભાંડ ગણાવાઈ રહ્યું હોઈ અનેક લોકો બેબાકળા બન્યા છે. જાત જાતની અને ભાત ભાતની પાયાવિહોણી વેક્સિન વિરોધી વાત રોજેરોજ ફેલાતી હોઈ ૫૦ વર્ષથી નીચેના કોમોર્બિડ દર્દીની વિગત પણ સરવે ટીમને મળતી નથી. વેક્સિન લેવી કે ન લેવી તેને લઈને ઘણાં ઘરમાં કકળાટ થવા લાગ્યો છે.
હાલના કોરોના મહામારીના માહોલમાં સરવે ટીમને લોકસત્કાર મળવો જોઈએ તેમ છતાં અત્યારે નહીં તો બે વર્ષે પણ વેક્સિનની આડઅસર શરીરમાં દેખાશે તેવા ભ્રામક ભયથી પીડિત લોકોના કારણે ૪૦ ટકા ડેટા તંત્રને મળશે નહીં તેમ લાગે છે. એટલે અડધા-અધૂરા ડેટાથી મ્યુનિ. સત્તાવાળાઓએ વેક્સિનેશનના મામલે લડત આપવી પડશે તે બાબત તો નિશ્ચિત બની છે. બીજી તરફ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સના મામલે ખુદ તંત્રમાં ધાંધિયાં જોવા મળે છે. આ પ્રકારના સ્ટાફના ડેટા મેળવવા માટે 'તારીખ પે તારીખ' થતી હોઈ હવે તા. ૧૬ ડિસેમ્બરની નવી મુદત જાહેર કરાઈ છે. આ બાબત પણ વિચિત્ર જ છે.