ગુજરાતમાં કોરોના વેક્સિનનો જથ્થો તબક્કાવાર પહોંચી રહ્યો છે ત્યારે આજે આવેલા જથ્થામાંથી અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરમાં કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવશે. જ્યારે આવતીકાલે સુરત, વડોદરા અને રાજકોટ માટે ડોઝ અમદાવાદ આવી પહોંચશે.
ગુજરાતને બે તબક્કામાં 5.41 લાખ ડોઝ મળશે
પહેલા તબક્કાના 2.76 લાખ ડોઝ આવી પહોંચ્યા
રાજકોટ, વડોદરા અને સુરતમાં આવતી કાલે 2.65 લાખ ડોઝ આવશે.
ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનો વેક્સનનો જથ્થો આવી પહોંચ્યો હતો. 2.76 હજાર સિરમ કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા જેમાંથી 1.20 લાખ ડોઝને અમદાવાદ ખાતે ફાળવવામાં આવ્યા છે. 1.20 લાખ ડોઝને અમદાવાદ સિવિલ ખાતે મોકલાયા હતા.
રાજ્યમાં 2.76 લાખ કોરોના વેક્સિનનો જથ્થો આવી પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યગૃહપ્રધાન પ્રદિપસિંહ, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, રસીકરણના નોડલ ઓફિસર મુકેશભાઈ પંડ્યા સહિતના લોકોએ વેક્સિનના જથ્થાને આવકાર્યો છે.
પ્રથમ 2.76 લાખ જથ્થાનું વિતરણ
1.20 હજાર અમદાવાદને ફાળવવામાં આવ્યા છે જે અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ ખાતે રાખવામાં આવશે. જેમાંથી ગાંધીનગર શહેર અને જિલ્લામાં 16મી જાન્યુઆરીએ રસીકરણ કરવામાં આવશે. 60 હજાર ડોઝ ભાવનગર મોકલી આપવામાં આવ્યા છે. જેમાંથી ભાવનગર શહેર, જિલ્લો અને ગ્રામ્ય વિસ્તારોમાં આ જથ્થામાંથી કોરોના વેક્સિન આપવામાં આવશે.
બીજા તબક્કાનો 2,65 લાખ ડોઝનો જથ્થો કાલે આવશે
બીજો જથ્થો પૂનાથી બાય રોડ આવશે. આવતીકાલે બાય રોડ રાજ્યમાં વેક્સિને આવશે જેમાં 93500 વેક્સિન સુરત પહોંચશે. વડોદરા ખાતે 94500 કોલ્ડચેન દ્વારા વડોદરા પહોંચશે અને રાજકોટ ખાતે 77000 ડોઝ પહોંચતા કરવામાં આવશે.
4.33 લાખ સરકારી તબિબિ સ્ટાફને આપવામાં આવશે. 287 સેન્ટર પર રસીકરણની શરૂઆત કરવામાં આવશે. PM મોદી 16મી જાન્યુઆરીએ અમદાવાદ, સિવિલ રાજકોટ સિવિલના સ્ટાફ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે.
શું છે અમદાવાદની તૈયારીઓ
અમદાવાદ સિવિલમાં કોરોના વેક્સિન સ્ટોરેજ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલથી જિલ્લામાં વેક્સિનનુ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. AMC, ખેડા, આણંદ, અમદાવાદ જિલ્લામાં વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે. AMCને 61 હજાર 500 વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરાશે જ્યારે અમદાવાદ ગ્રામ્યને 8 હજાર વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે. આણંદને 18 હજાર વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરાશે. સુરેન્દ્રનગરને 9 હજાર 500 વેક્સિનનુ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં 36 સાઇટ પર વેક્સિનેશનનું લોન્ચિંગ કરવાની દિશામાં પુરજોશમાં તૈયારી શરૂ કરી દેવાઈ છે. જોકે તા. 16 જાન્યુઆરીથી અમદાવાદમાં શરૂ થનાર વેક્સિનેશનમાં પહેલાં તો હેલ્થ વર્કરને વેક્સિન અપાશે.
ડ્રાયરન યોજાઈ હતી
આમ તો તંત્ર દ્વારા તા. 8 જાન્યુઆરીએ સરકારી અને ખાનગી શાળા તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશનનો ડ્રાય રન લેવાયો હતો. તે વખતે કુલ ૨૫ સાઇટ પર આ કાર્યક્રમ યોજાયો હતો. અસારવાની ઓમનગર શાળા નંબર 23, એચ. બી. કાપડિયા સ્કૂલ, ઇન્ડિયા કોલોનીની સ્કૂલ નંબર 13, ઠક્કરબાપા આશ્રમ સ્કૂલ, અંબિકાનગર ગુજરાતી શાળા નંબર એક, અમરાઈવાડી ગુજરાતી શાળા, વેજલપુર પ્રાથમિક શાળા નંબર બે, ઘાટલોડિયામાં નૂતન વિદ્યાવિહાર, ગ્લોબલ હોસ્પિટલ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એક સાઇટ પર 25 લાભાર્થીને વેક્સિનનો ડોઝ અપાયો હતો. જોકે સોફ્ટવેરમાં ખામીથી પિનકોડ જનરેટ ન થવાથી સમગ્ર વેક્સિનેશન ઓફલાઇન કરવું પડ્યું હતું.
દરેક સાઇટ પર 100 લાભાર્થીને વેક્સિન અપાશે
હવે તા. 16 જાન્યુઆરીથી શહેરની 36 સાઇટ પરથી તંત્ર વેક્સિનેશન શરૂ કરશે. દરેક સાઇટ પર 100 લાભાર્થીને વેક્સિન અપાશે, જેમાં વેક્સિનેશન સાઇટ પર પહોંચી ગયા બાદ 15 મિનિટમાં વેક્સિન આપી દેવાશે અને નિયમ મુજબ ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ બેસાડવામાં આવશે એટલે એક લાભાર્થી પાછળ અંદાજે 45 મિનિટનો સમય લાગશે.
ફર્સ્ટ ફેઝમાં ૫૫ હજાર હેલ્થ વર્કરને વેક્સિન અપાશે
આમ તો તંત્ર પહેલાં દરેક ઝોન માટે અંદાજે 50 વેક્સિનેશન સાઇટ નક્કી કરી હતી, જેમાં ખાનગી હોસ્પિટલ, સરકારી-ખાનગી સ્કૂલ પણ હતી, પરંતુ ફર્સ્ટ ફેઝમાં 55 હજાર હેલ્થ વર્કરને વેક્સિન અપાનાર હોઈ તંત્ર દ્વારા માત્ર 36 સાઇટને વેક્સિનેશનના લોન્ચિંગ માટે પસંદ કરાઈ છે. આ 55 હજાર હેલ્થ વર્કરમાં 35 હજાર સરકારી અને 20 હજાર ખાનગી હેલ્થ વર્કર છે.
36 સાઇટને વેક્સિનેશનના લોન્ચિંગ માટે પસંદ કરાઈ
મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા પસંદ કરાયેલી ૩૬ સાઇટ પૈકી મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સૌથી વધુ ચાર ટીમ વેક્સિનેશનની ફરજ બજાવશે. અન્ય મ્યુનિ. હોસ્પિટલ પૈકી શારદાબહેન હોસ્પિટલમાં બે ટીમ, એલજી હોસ્પિટલમાં બે ટીમ, વીએસ હોસ્પિટલમાં એક ટીમ, નગરી હોસ્પિટલમાં એક ટીમ અને ચેપી રોગ હોસ્પિટલમાં એક ટીમ વેક્સિનેશનની કામગીરી કરશે.
સરકારી હોસ્પિટલમાં કયો કયો પોઈન્ટ રહેશે
અન્ય સરકારી હોસ્પિટલમાં સોલા સિવિલમાં બે ટીમ, સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટરમાં બે ટીમ, કિડની હોસ્પિટલ અસારવામાં એક ટીમ, ડેન્ટલ હોસ્પિટલમાં એક ટીમ, સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં એક ટીમ, યુએન મહેતા હોસ્પિટલમાં બે ટીમ, કેન્સર હોસ્પિટલ- અસારવામાં બે ટીમ વેક્સિનેશનની ફરજ બજાવશે. આ ઉપરાંત અર્ધસરકારી જીસીએસ હોસ્પિટલ- અસારવામાં પાંચ ટીમ વેક્સિનેશનની કામગીરી કરવાની છે.
ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલને પસંદ કરાઈ
હાલ તો તંત્ર દ્વારા ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલને એકમાત્ર ખાનગી હોસ્પિટલ તરીકે વેક્સિનેશન માટે પસંદ કરાઈ છે. આ હોસ્પિટલમાં ત્રણ ટીમ વેક્સિનેશન માટે તહેનાત કરાઈ છે. આ ઉપરાંત મ્યુનિ. તંત્ર દ્વારા વટવા, ગોમતીપુર, ચાંદખેડા, સરખેજ અને રખિયાલ- એમ કુલ પાંચ મ્યુનિ. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને વેક્સિનેશન માટે પસંદ કરાયાં છે. આ તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર તંત્રની એક-એક ટીમ વેક્સિનેશન કરશે.
6.55 લાખથી વધુ સિનિયર સિટીઝન
ફર્સ્ટ ફેઝમાં ૫૫ હજાર જેટલા હેલ્થ વર્કરનાં વેક્સિનેશન બાદ સેકન્ડ ફેઝમાં તમામ ફ્રન્ટલાઇન વર્કરને વેક્સિન લગાવાશે, જેમાં પોલીસ સ્ટાફ, મ્યુનિ. સ્ટાફ વગેરેને વેક્સિન અપાશે. થર્ડ ફેઝમાં 50 વર્ષથી ઉપરના સિનિયર અને કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકોને વેક્સિન અપાશે. અત્યારે તંત્રના ચોપડે 6.55 લાખથી વધુ સિનિયર સિટીઝન અને 25 હજાર જેટલા કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકોનું રજિસ્ટ્રેશન થયું છે. તંત્ર દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ શરૂ કરાયું હોઈ તેમાં 10 હજારથી વધુ નાગરિકનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.
પહેલા ડોઝ બાદ 28 દિવસે બીજો ડોઝ અપાશે
જોકે તંત્ર દ્વારા રજિસ્ટ્રેશન ધરાવતા નાગરિકને જ વેક્સિન અપાનારું હોઈ તમામ નાગરિકોએ સમયસર રજિસ્ટ્રેશન કરાવી લેવું હિતાવહ છે. જોકે વેક્સિનેશનના પહેલા ડોઝ બાદ 28 દિવસે બીજો ડોઝ અપાશે અને તે પછી પણ 15થી 20 દિવસ કોરોના સંભવિત સંક્રમણથી બચવું પડશે. બીજા અર્થમાં વેક્સિનેશન કર્યા બાદ પણ જે તે નાગરિકે ઓછામાં ઓછો દોઢ મહિનો કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.