ગાંધીનગરમાં 50 ટકા મહિલા કોર્પોરેટર હોવા છતાં વેક્સિનને લઈ અફવાઓ અને અંધશ્રદ્ધાનો માહોલ
અમદાવાદ જેવા રાજ્યના આર્થિક પાટનગર અને શિક્ષિત શહેરમાં પુરુષોની સરખામણીમાં ત્રણ લાખથી વધુ મહિલાઓએ વેક્સિન લીધી નથી
પચાસ ટકા મહિલા કોર્પોરેટર હોવા છતાં અફવાઓ અને અંધશ્રદ્ધાનો માહોલ
જો થર્ડ વેવ બે મહિનામાં આવી પહોંચશે તો ગુજરાતમાં સ્થિતિ કથળવાની ભીતિ
ગુજરાતમાં આજથી વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરાયું છે. રાજ્યનાં 1025 સ્થળોએ વેક્સિન ઉત્સવ થશે અને વેક્સિનનાં સેન્ટર પણ વધારીને પાંચ હજાર કરાયાં છે. અમદાવાદની વાત કરીએ તો નાગરિકો માટે 400 સેન્ટર ઉપલબ્ધ કરાયાં છે. શહેરમાં રોજ એક લાખ લોકોને કોરોનાની વેક્સિન આપવાનો લક્ષ્યાંક મ્યુનિ. તંત્ર દ્વારા નક્કી કરાયો છે.
હજુ 50 ટકા લોકોએ પણ વેક્સિન નથી લીધી
હવે 18થી 44 વયજૂથ માટે ફરજિયાત ઓનલાઇન રજિસ્ટ્રેશનની શરત કાઢી નખાઈ હોઈ ઝડપી વેક્સિનેશન શક્ય બને તેમ લાગે છે. તેમ છતાં 65 લાખની વસ્તી ધરાવતા અમદાવાદમાં હજુ પચાસ ટકા લોકોએ પણ વેક્સિન લીધી નથી. તેમાં પણ મહિલાઓ વેક્સિન લેવા ઉત્સાહપૂર્વક આગળ આવતી નથી.
જો અમદાવાદ જેવાં રાજ્યના સૌથી મોટા શહેરમાં મહિલાઓમાં ઉદાસીનતા જોવા મળે છે તો ગ્રામીણ વિસ્તારની મહિલાઓનું વેક્સિનેશન તો ખૂબ ઓછું થઈ રહ્યું છે એટલે વેક્સિનેશન મહાઅભિયાનમાં વધુ ને વધુ મહિલાઓને જોડવી પડશે, નહીંતર આ સંઘ કાશીએ પહોંચશે ખરો? તેવા પ્રશ્નો ઊભા થતા રહેશે.
ગુજરાતમાં પ્રથમ સ્થાને
રાજ્ય સરકારના આજથી શરૂ થયેલા કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન હેઠળ સમગ્ર દેશમાં પ્રતિ દસ લાખ વ્યક્તિએ કોરોના વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમ સ્થાને છે તેવો સરકારનો દાવો છે. 2.20 કરોડથી વધુ લોકોને વેક્સિન અપાઈ હોઈ ગુજરાત વેક્સિનેશનમાં અગ્રેસર છે અને ગુજરાતને કોરોનામુક્ત બનાવવા એક પણ વ્યક્તિ વેક્સિન વગર રહે નહીં તેવો સંકલ્પ આજે લેવાશે, પરંતુ વેક્સિનેશનમાં વાસ્તવિકતા બહુ કડવી છે, કેમ કે મહિલાઓમાં વેક્સિનેશન પ્રમાણમાં ખૂબ નિરાશાજનક છે. અમદાવાદ જેવા રાજ્યના આર્થિક પાટનગર અને શિક્ષિત શહેરમાં પુરુષોની સરખામણીમાં ત્રણ લાખથી વધુ મહિલાઓએ હજુ વેક્સિન લીધી નથી. ગઈ કાલની સ્થિતિએ અમદાવાદમાં 12,20,173 પુરુષોની સામે 9,16,345 મહિલાઓએ જ વેક્સિન મુકાવી હતી.
રાજ્યની મહિલાઓની સ્થિતિ વધારે ખરાબ
વેક્સિનેશનમાં જો અમદાવાદની મહિલાઓ પાછળ છે તો રાજ્યની સ્થિતિ તો કરુણાજનક છે. રાજ્યમાં ગઈ કાલ સુધીમાં કુલ 2,21,01,557 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે, જેમાં 94,69,166 પુરુષો અને 78,08,516 મહિલાઓ છે એટલે રાજ્યમાં પુરુષોની તુલનામાં 16.60 લાખથી વધુ મહિલાઓ વેક્સિનથી વંચિત છે. અમદાવાદ તો શિક્ષિત પણ કહી શકાય. શહેરમાં મહિલા ડેપ્યુટી મેયર ગીતા પટેલ ઉપરાંત કુલ 192 કોર્પોરેટરો પૈકી 50 ટકા મહિલા કોર્પોરેટરો છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં ખાસ મહિલા અને બાળવિકાસ કલ્યાણ કમિટી છે, જેના મહિલા ચેરપર્સન પ્રતિમા જૈન તો છે, પરંતુ ડેપ્યુટી ચેરપર્સન સહિત તમામે તમામ 16 સભ્ય મહિલા છે, પરંતુ એક પણ મહિલા હોદ્દેદાર કે મહિલા કોર્પોરેટરોએ વધુ ને વધુ મહિલાઓ વેક્સિન લેવા આગળ આવે તેવો રસ દાખવ્યો નથી.
હજુ ઘણા મહિલા કોર્પોરેટરોને વેક્સિન લેવાની બાકી
હજુ પણ ઘણી મહિલા કોર્પોરેટરોએ વેક્સિન લેવાની તસદી લીધી નથી. આના બદલે હેલ્થ કમિટીના મહિલા સભ્ય મંજુલા ઠાકોર તેમના વોર્ડના સરસપુર-રખિયાલ પરિવાર નામના વોટ્સએપ ગ્રૂપમાં વેક્સિન વિરોધી મેસેજ મૂકે છે. વેક્સિન લેશો તો હંમેશ માટે સૂઈ જશો, કોરોનાની રસી લેશો તો તમારું મોત નિશ્ચિત છે જેવો ઉશ્કેરણીજનક મેસેજ મૂકતાં હોવા છતાં તેમની સામે કોઈ પગલાં લેવાતાં નથી. મ્યુનિ. ભાજપના નેતા ભાસ્કર ભટ્ટના સરસપુર વોર્ડના જ મંજુલા ઠાકોર સાથી કોર્પોરેટર હોઈ તેમનો તેઓ ખુલાસો લઈને ભીનું સંકેલી લે છે.
ગુજરાતભરમાં વેક્સિનને લઈને જાત જાતની અફવાઓ અને અંધશ્રદ્ધાનો માહોલ
આજે પણ અમદાવાદમાં જ નહીં, પણ ગુજરાતભરમાં વેક્સિનને લઈને જાતજાતની અને ભાતભાતની અફવા અને અંધશ્રદ્ધાનો માહોલ છે. તાજેતરમાં સુરેન્દ્રનગરના મૂળીમાં દૂધઈ અને ધ્રાંગધ્રામાં વેક્સિન લીધા બાદ લેનારનાં શરીર પર ચલણી સિક્કા, સ્ટીલની ચમચી, કાંટા જેવી વસ્તુઓ ચોંટી જતી હોવાની અફવા ફેલાઈ હતી. વલસાડના એક જ્વેલર્સનો પણ આવો એક મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
જોકે કોરોના વેક્સિનમાં એવાં કોઈ તત્ત્વો જ નથી કે શરીરમાં ચુંબકીય ઊર્જા આવી જાય તેવો રાજ્ય સરકારે અને તબીબોએ રદિયો પણ આપ્યો છે. તેમ છતાં અમદાવાદમાં પણ વેક્સિનના મામલે ગેરસમજ જોવા મળતી હોઈ કોર્પોરેટર સ્તરના મહિલા આગેવાન તેમના સમાજમાં વેક્સિન વિરોધી મેસેજ મૂકતાં હોય તો પછી ગ્રામીણ વિસ્તારની મહિલાઓમાં કેટલી હદે અંધશ્રદ્ધા કે અફવા કે ગેરસમજ ફેલાઈ છે તેની તો કલ્પના કરતાં ધ્રૂજી જવાય છે.
આજે કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે બોડકદેવના દીનદયાલ હોલમાં ઓનસ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેક્સિનેશનનો પ્રારંભ કરાવાયો હતો. શહેરમાં અન્ય 24સ્થળોએ પણ આ પ્રકારના કાર્યક્રમ યોજાયા હતા, તેમ છતાં આમાં મહિલાઓને મોટી સંખ્યામાં જોડવી પડશે. શું મહિલા કોર્પોરેટરો, મહિલા મોરચાઓ, સખીમંડળો વગેરે તેમની આળસ ખંખેરશે અને મહિલાઓને સો ટકા વેક્સિનેશનની નવી મંજિલ અપાવી શકશે? નહીંતર થર્ડ વેવ બે મહિનામાં દેશમાં આવી પહોંચશે તેવો ભય દિલ્હીની એઇમ્સના ડો. ગુલેરિયા વ્યક્ત કરતા હોય તેવા સંજોગોમાં અમદાવાદ-રાજ્યની કોરોનાથી રક્ષા કોણ કરશે?