દેશમાં આજે ફરી બે દિવસ બાદ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લાં 24 કલાકમાં આજે નવા 1,088 કેસ નોંધાયા તો આજે 26ના મોત થયા છે.
છેલ્લાં 24 કલાકમાં કોવિડ-19 ના 1,088 નવા કેસ
આજે 26 લોકોના મોત જે સંખ્યા ગઈ કાલે 19 હતી
ગઈ કાલ કરતા આજે કોરોનાના કેસ 36.6 ટકા વધારે
દેશમાં બુધવાર સવાર સુધીના છેલ્લાં 24 કલાકમાં કોવિડ-19 ના 1,088 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલ કરતા 36.6 ટકા વધારે છે. મંગળવાર સવાર સુધીમાં એક દિવસમાં જ 796 કેસ નોંધાયા હતા. છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા મોતના આંકમાં પણ વધારો થયો છે. આજે 26 લોકોના મોત થયા છે જે સંખ્યા ગઈ કાલે 19 હતી. દૈનિક પોઝિટિવિટી 0.25% પર છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.24% છે.
કુલ એક્ટિવ કેસની સંખ્યા 10,870 એ પહોંચી છે. જે સંક્રમણના કુલ કેસના 0.03% છે. રિકવરી રેટ 98.76% પર છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1,081 લોકો સાજા થયા છે, જે અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા કેસોની સત્તાવાર સંખ્યા 4,25,05,410 થઇ ચૂકી છે.
COVID-19 | India reports 1,088 fresh cases, 1081 recoveries, and 26 deaths in the last 24 hours.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 15,05,332 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે દેશમાં વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,86,07,06,499 રસીકરણ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં છેલ્લાં 24 કલાકમાં 4,29,323 કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 79.49 કરોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
'કોવિડ કાબૂમાં પણ ગયો નથી'
દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઓછી હોવાના કારણે ઘણાં રાજ્યોએ કોવિડ પ્રતિબંધો લગભગ નાબૂદ કરી દીધા છે. કેટલાંક શહેરોમાં માસ્કની ફરજિયાત જરૂરિયાત પણ નાબૂદ કરવામાં આવી છે. જો કે, XE વેરિઅન્ટ કેટલાંક રાજ્યોમાં મળી આવ્યું છે, જ્યાર બાદ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે કોરોના વાયરસના 'XE' વેરિઅન્ટ વિશેની આશંકાઓ દૂર કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે, તે ઓમિક્રોનનો બીજો પ્રકાર છે. લોકોને સાવચેત રહેવાની અપીલ કરતાં તેમણે કહ્યું હતું કે, મહામારી કાબુમાં છે, પરંતુ તે હજી સુધી ખતમ નથી થઇ.