ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કારણે થતી મોતના આંકડામાં થઈ રહ્યો છે વધારો, આજે કોરોનાથી 35 લોકોના મૃત્યુ
8 એપ્રિલે રાજ્યમાં 4,201 નવા કેસ નોંધાયા
આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં
રાજ્યમાં અત્યાર સુધીમાં 4655 કોરોનાના કારણે લોકોના મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે આજની કુલ મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4655 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 182 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 20473 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 951 કેસ અને ગ્રામ્યમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 723 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 379 કેસ, જ્યારે ગ્રામ્યમાં 111 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 427 કેસ અને ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
રાજકોટમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અને પરિસ્થિતિ બેકાબૂ બની હોય તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે આવતીકાલે CM રૂપાણી પોતાના હોમટાઉન રાજકોટ જશે. કોરોનાના વધતા કેસો વચ્ચે CM રૂપાણી રાજકોટ જઈ રહ્યા છે. જ્યાં અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરાશે. CM રૂપાણી કલેક્ટર, મનપા કમિશનર સાથે બેઠક યોજશે.
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ઓક્સિજનના સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 160 રૂપિયાથી વધીને 285 રૂપિયા થઈ છે. તો GST સાથે ઓક્સિજનના સિલિન્ડરની કિંમત 316 રૂપિયાએ પહોંચી છે. તો બીજી તરફ હોળાષ્ટક પહેલા રોજના 50થી 60 ઓક્સિજનના સિલિન્ડરની માગ રહેતી હતી.
જ્યારે હાલ રોજના 350થી 400 સિલિન્ડર સુધી પહોંચી છે. જો આગામી સમયમાં હજુ પણ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો આ માગ 800 સુધી પહોંચશે તેવું વેપારીઓ માની રહ્યા છે. જો કે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઓક્સિજનના સિલિન્ડરની અછત ઉભી નહી થાય તેવી બાંહેધરી આપી છે.