સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ દુષ્કર્મની ગર્ભવતી પીડિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતુ થયું છે. તેની સેવામાં રહેલા મેડિકલ સ્ટાફનો જીવ તાળવે બેઠો છે. આ કેસ આવતાની સાથે સગીરાના કેસની તપાસ કરનારા, આરોપી પકડનારાથી માંડીને પીડિતાના પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે.
ગર્ભવતી પીડિતાને ગાયનેક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી
પીડિતાને 23 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવી હતી
તેનો કોરોના રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવી છે.
સિવિલ હોસ્પિટલના ગાયનક વોર્ડમાં બળાત્કારનો ભોગ બનેલી 6 મહિનાની ગર્ભવતી સગીરા દાખલ કરાઈ હતી. પીડિતાના જીજાજીએ જ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જેની જાણ થતા આરોપીની પત્ની અને સગીરાની બહેને પોલીસ ફરિયાદ કરી હતી. ઈસનપુર પોલીસ સ્ટેશન પીડિતાને મેડિકલ તપાસ માટે 23 એપ્રિલના રોજ હોસ્પિટલ લઈને આવી હતી.
ગર્ભવતીનો હોસ્પિટલ તંત્ર દ્વારા મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેને પગલે આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 6થી 7 દિવસ દરમિયાન આ વોર્ડમાં 30 જેટલી ગર્ભવતી મહિલાઓ આવી અને 15થી 20 બાળકો આ દિવસો દરમિયાન જન્મ્યા હતા. જોકે બાળકોને તેના જન્મના 2 દિવસમાં રજા અપાઈ જાય છે. પણ આ વોર્ડમાં 30 જેટલી નર્સોથી માંડી સ્વાસ્થ્યકર્મીઓ વારાફરથી ફરજ બજાવી રહ્યા છે. આ કેસ પોઝિટિવ આવતાની સાથે અનેક લોકોના જીવ પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યુ છે.
જે મહિલા પોલીસકર્મીઓ આ પીડિતાને હોસ્પિટલ લઈને આવી હતી તેમના પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે. ત્યારે આ પીડિતાન સંપર્કમાં કેટલા લોકો આવ્યા છે. તે તંત્ર માટે તપાસ અને ચિંતાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે રિપોર્ટ બાદ પીડિતાને કોરોના વોર્ડમાં સિફ્ટ કરવામાં આવી છે.