દિવાળીના તહેવારો બાદ છેલ્લા 5 દિવસથી અમદાવાદ અને સુરતમાં કોરોના વકરી રહ્યો છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના ટેસ્ટ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે અમદાવાદ અને સુરતમાં રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ વધી જતા કોરોનાનો ટેસ્ટ કરાવવા લોકોની ભીડ જામી હતી. જોકે સુરત અને અમદાવાદમાં કેટલીક જગ્યાએ કોરોના ટેસ્ટિંગ ડોમ ખાલીખમ જોવા મળ્યા છે.
અમદાવાદમાં ડોમ પર કોરોના ટેસ્ટ માટે કોઈ ડોકટર હાજર નથી
સુરતમાં કોરોના ટેસ્ટિંગ ડોમ ખાલીખમ જોવા મળ્યા
અમદાવાદ-સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટિંગ માટે જે ડોમ ઊભા કરવામાં આવ્યા છે. તેવામાં અમદાવાદના વસ્ત્રાપુર ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમમાં લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં ટેસ્ટિંગ માટે ડોમ તો ઊભા કરાયા છે પરંતુ સ્ટાફ ન હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના પોશ વિસ્તારમાં કોરોના ટેસ્ટ બુથમાં લાંબી લાઈનો
અમદાવાદમાં સંક્રમણ વધવા છતા કોરોનાના ટેસ્ટમાં ઘટાડો છે. લોકોની લાંબી કતારો છતા ડોમમાં તંત્રનો સ્ટાફ જ હાજર નહીં. અમદાવાદના પોશ વિસ્તારમાં કોરોના ટેસ્ટ બુથમાં લાંબી લાઈનો છે. પરંતુ ડોમ પર કોરોના ટેસ્ટ માટે કોઈ ડોકટર હાજર નથી. સિંધુ ભવન રોડ પરના બુથ પર તબીબો હાજર નથી. અમદાવાદના વિજય ચાર રસ્તા, અખબાર નગર ખાતે પણ ટેસ્ટનો ડોમ ખાલી હોવાનું સામે આવ્યું છે. તો રિવરફ્રન્ટ, AEC ચાર રસ્તા નજીકના ડોમ પર પણ ટેસ્ટિંગ નહીં. VTVના રિયાલિટી ચેકમાં શહેરમાં ડોમ ખાલી નજરે પડ્યા છે. કોરોના ટેસ્ટ માટે આવનાર લોકોને પરત જઈ રહ્યા છે. લોકોએ કોરોનાનો ટેસ્ટ ક્યાં કરાવવો તેને લઈ અસમંજસ છે. ત્યારે સવાલ થાય છે કે શું આવી રીતે અમદાવાદમાં થશે અગ્રેસિવ ટેસ્ટ ? શું આવી રીતે અમદાવાદ કોરોના સામે જીતશે ?
સુરતમાં કોરોના ટેસ્ટિંગ ડોમ ખાલીખમ જોવા મળ્યા
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેસ્ટિંગ સેન્ટરમાં કોઈ સ્ટાફ ન હોવાનું સામે આવ્યું છે. માત્ર ઉભા કરેલા મંડપ, ટેબલ- ખુરશી સિવાય ડોમમાં કોઈ નથી. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર સૌથી વધુ કોરોના સંક્રમિતો છે.
ઘાટલોડિયાના રત્નદીપ ટાવરમાં 50થી વધુ કેસ
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર કરીને કોરોનાને નિયંત્રિત કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રત્નદીપ ટાવરમાં ચાર બ્લોકના 50થી વધુ મકાનોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે અને સૂત્રોના જણાવ્યા મુજબ આ સોસાયટીમાં 50થી વધુ કેસ હોવાની ચર્ચા ચાલી રહી છે. એ જ રીતે ઘાટલોડિયામાં આવેલી ભૂયંગદેવ સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવી છે.