રાજકોટ શહેરમાં થાઈલેન્ડથી પરત ફરેલ એક યુવક સહિત 3 કેસ સામે આવ્યા હતા, શહેરમાં એક્ટિવ કેસનો આંક 15 પર પહોંચ્યો
રંગીલા રાજકોટમાં ધીમી ગતિએ કોરોનાની દસ્તક
રાજકોટમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 15
સંક્રમણને રોકવા હવે શહેરમાં ટેસ્ટિંગ વધારાશે: મનપા
રાજકોટમાં કોરોના કેસોમાં ઉછાળો જોવા મળતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ગઈકાલે શહેરમાં થાઈલેન્ડથી પરત ફરેલ એક યુવક સહિત 3 કેસ સામે આવ્યા હતા. જેને લઈ હવે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી છે. કોરોના સંક્રમણને રોકવા હવે શહેરમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે.
રંગીલા રાજકોટમાં કોરોનાએ ધીમે-ધીમે દસ્તક દેતાં આરોગ્ય તંત્ર દ્વારા હવે ટેસ્ટિંગ વધારવામાં આવશે. રાજકોટમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 15 કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલે થાઈલેન્ડથી પરત ફરેલ યુવક અને અન્ય યુવક અને વૃધ્ધ મળીને કુલ ત્રણ કેસ નોંધાયા હતા. આ તરફ હવે શહેરમાં એક્ટિવ કેસનો આંક 15 પર પહોંચ્યો છે.
શું કહ્યું મનપા કમિશ્નરે ?
રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવાને લઈ રાજકોટ મ્યુનિશિપલ કમિશ્નર અમિત અરોરાએ મોટું નિવેદન આપ્યું છે. અમિત અરોરાએ જણાવ્યું હતું કે, કોરોના કેસ વધતા હવે ટેસ્ટિંગ વધારવામાં આવશે. હજુ કેસ વધશે તો ટેસ્ટિંગ બુથ પણ શરૂ કરાશે. રાજકોટમાં અત્યાર સુધી 900 ટેસ્ટ થતાં હતા જોકે હવે આજથી 1500 ટેસ્ટિંગ કરવા સૂચના અપાઇ છે.