દુનિયામાં કોરોના વાયરસનો હાહાકાર દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે અવસાન પામતા લોકોની સંખ્યા 75 હજારને પાર જતી રહી છે. જ્યારે લાકાહો લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. એવામાં વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસની રસી શોધવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે ઈનોવિયો ફાર્માસ્યુટિકલ દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સિનને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે.
અમેરિકામાં કોરોના વાયરસની બીજી રસીને મંજુરી
40 સ્વસ્થ વ્યક્તિઓ પર થશે પરીક્ષણ
સકારાત્મક પરિણામો મળશે તો વર્ષ 2020ના અંત સુધી 10 લાખ ડોઝ તૈયાર
બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આ કંપનીને ફંડ આપવામાં આવ્યું છે. કોરોના વાયરસની સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલ આ રસીનો ડોઝ માણસોને પણ આપવામાં આવી છે.
સોમવારે જ ઈનોવિયો ફાર્માસ્યુટિકલ દ્વારા તૈયાર કરવામાં આવેલ રસીનું માણસોમાં પરીક્ષણ શરુ કરી દેવામાં આવ્યું હતું. અમેરિકામાં આ બીજી કંપની છે જેને માણસો પર પરીક્ષણની મંજુરી આપવામાં આવી છે. આ પહેલાં માર્ચ મહિનામાં એક કંપની દ્વારા માણસો પર ટેસ્ટ શરુ કરવામાં આવ્યા હતા.
ઈનોવિયો ફાર્માસ્યુટિકલ દ્વારા 40 સ્વસ્થ લોકોની પસંદગી કરવામાં આવી છે જેમના પર કોરોના વાયરસનું પરીક્ષણ કરવામાં આવશે. આ બધા જ વ્યક્તિઓને ચાર અઠવાડિયા સુધી દવા આપવામાં આવશે. પછી તેના પરિણામો પરથી સંશોધન કરવામાં આવશે. અમેરિકાના એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવતી વેક્સિન શોધવામાં એક વર્ષનો સમય લાગશે.
ઈનોવિયો ફાર્માસ્યુટિકલએ અખ્યું છે કે ટેસ્ટમાં જો સકારાત્મક પરિણામો જોવા મળશે તો વર્ષ 2020ના અંત સુધી 10 લાખ ડોઝ તૈયાર કરી દેવામાં આવશે. અને તરત જ વેક્સિનનો ઉપયોગ શરુ કરી શકાશે.