રાજકીય પક્ષોએ કોરોનાનો પાયો નાખી જ દીધો હતો. તેમાં દાંડી યાત્રા અને ક્રિકેટના ઉન્માદથી કોરોના રિટર્ન્સનું મોટું બિલ્ડિંગ હવે બની રહ્યું છે.
દાંડી યાત્રા અને ક્રિકેટના ઉન્માદથી કોરોના રિટર્ન્સ
રાજકીય પક્ષોએ જીતની ડીજેના તાલે ઉજવણી કરી અને વિજયસભાઓ યોજી
આ તીન તિગડીએ અમદાવાદમાં ખેલ બગાડ્યો
જાન્યુઆરીમાં શહેરમાં કોરોનાના કેસ ઘટીને 40ની આસપાસ નોંધાતા હતા. સામાન્ય અમદાવાદીઓ પણ કોરોનાના ગ્રહણથી લગભગ મુક્તિ મળવાથી આનંદિત હતા. રોજબરોજનું જીવન થાળે પડવાથી અનેકના ધંધા-રોજગાર ધમધમતા થયા હતા અને કોરોનાકાળથી મુરઝાયેલા ચહેરા ખીલી ઊઠ્યા હતા.
આ તીન તિગડીએ અમદાવાદમાં ખેલ બગાડ્યો
દિવાળી બાદ ફેલાયેલી સેકન્ડ વેવની દહેશત ભુલાઈ ગઈ હતી અને ૧૬ જાન્યુઆરીથી કોરોનાનું વેક્સિનેશન શરૂ થતાં આ રોગ ભૂતકાળ બની જશે તેવો આત્મવિશ્વાસ પણ લોકોમાં જોવા મળ્યો હતો, પરંતુ અચાનક ચિત્રમાં યુ-ટર્ન આવતાં હવે શહેરીજનોને લોકડાઉન તરફ ધકેલાવું પડ્યું છે. કોરોનાએ પુનઃ તોફાન મચાવતાં નાગરિકો સ્તબ્ધ બન્યા છે તો તેની પાછળ ત્રણ મુખ્ય કારણ જવાબદાર છે-મ્યુનિ. ચૂંટણી, વિજય સરઘસો, દાંડી યાત્રા અને ક્રિકેટના ઉન્માદથી કોરોના વિફર્યો હોઈ આ તીન તિગડીએ અમદાવાદમાં ખેલ બગાડ્યો છે.
ચૂંટણીપંચનો આ નિર્ણય વિવાદાસ્પદ પણ બન્યો હતો
અગાઉ કોરોનાની દહેશતથી મ્યુનિ. ચૂંટણી સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલાઈ હતી. રાજ્ય ચૂંટણીપંચનો આ નિર્ણય વિવાદાસ્પદ પણ બન્યો હતો, પરંતુ ચૂંટણીની નવી તારીખ ૨૧ ફેબ્રુઆરી જાહેર થઈ તેના પહેલાં અમદાવાદમાં તંત્ર દ્વારા એવો માહોલ જાણ્યે-અજાણ્યે ઊભો કરાયો હતો કે કોરોનાએ વિદાય લઈ લીધી છે.
બીજી તરફ ચૂંટણી દરમિયાન પ્રચાર-પ્રસારના તાયફામાં સઘળા રાજકીય પક્ષો ભાન ભૂલ્યા હતા. નેતાઓ અને કાર્યકરોનાં બિનજવાબદારીભર્યાં વર્તન સામે મ્યુનિ. સત્તાધીશોએ આંખે પાટા બાંધીને ભૂંડો રોલ ભજવ્યો હતો. ચૂંટણી પત્યા બાદ પણ રાજકારણીઓના તાયફા અટક્યા નહોતા.
દાંડી યાત્રા અને ક્રિકેટના ઉન્માદથી કોરોના રિટર્ન્સ
રાજકીય પક્ષોએ જીતની ડીજેના તાલે ઉજવણી કરી અને વિજયસભાઓ યોજાઈ, અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની તાકીદને વિસરી જઈને ભાજપના કોર્પોરેટરોના ઠેર ઠેર સ્વાગત સમારંભ થયા, સુરતમાં કેજરીવાલનો રોડ શો થયો એટલે રાજકીય પક્ષોએ કોરોનાનો પાયો નાખી જ દીધો હતો. તેમાં દાંડી યાત્રા અને ક્રિકેટના ઉન્માદથી કોરોના રિટર્ન્સનું મોટું બિલ્ડિંગ હવે બની રહ્યું છે.
ખુદ મ્યુનિ. હેલ્થ વિભાગ કોરોનાના તરખાટ માટે ચૂંટણી, દાંડી યાત્રા અને ક્રિકેટને જવાબદાર માને છે. ઉત્તર ઝોનના હેલ્થ ઓફિસર ડો. જી. ટી. મકવાણા ભારપૂર્વક કહે છે, ''શહેરમાં કોરોના વકર્યો છે તેના માટે આ ત્રણ મુખ્ય કારણ જવાબદાર છે.'' બીજી તરફ વગદાર લોકોને બધે છવાઈ જવું હતું એટલે કોરોનાની હાજરી હોવા છતાં તે સામાન્ય લોકો માટે 'સગવડિયો' કોરોના બનાવી દેવાયો હતો. લોકોને શિવરાત્રી જેવા તહેવારો ઊજવવા ન દીધા, હોળી-ધુળેટીને પણ સત્તાવાળાઓ કોરોનાની બીક બતાવીને ઊજવવા દેવાના નથી.
લોકોએ કોરોનાથી બચવા દીપ પ્રગટાવ્યા, થાળી વગાડી,
સામાન્ય લોકોએ કોરોનાથી બચવા દીપ પ્રગટાવ્યા, થાળી વગાડી, ભૂખ-તરસ વેઠીને લોકડાઉન સહ્યું, અનલોકના અખતરાઓને હસતા મોંએ અપનાવ્યા, ગુજરાતની અસ્મિતા સમાન નવરાત્રી ઉત્સવને પ્રજાએ સ્વયંભૂ શિસ્તમાં રહી ફિક્કો પાડ્યો. દિવાળી જો ઊજવાઈ તો પછીની કોરોનાની સેકન્ડ વેવમાં પણ લોકોએ ભૂલ કબૂલી પણ જે રીતે હવે કોરોનાની થર્ડ વેવની દહેશત સર્જાઈ છે તેનાથી સામાન્ય અમદાવાદીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે. સત્તાવાળાઓએ કોરોનામાં મનફાવે તેવું ચિત્ર લોકો સમક્ષ રજૂ કર્યું, મનસ્વી રીતે ચૂંટણી, વિજય સરઘસો, ક્રિકેટના ઉન્માદથી કોરોના ‘વિકરાળ’ બન્યો
ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળું
લોકોને નચાવ્યા અને હવે ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળું મારવા નીકળ્યા હોઈ જનતાના મનમાં એવો પ્રશ્ન ઊઠ્યો છે કે આમાં અમારો શું વાંક? આમાં અમારો શું ગુનો?
અમદાવાદ સહિતનાં ચાર મહાનગરમાં રાત્રિ કરફ્યુ
હવે રાજ્ય સરકાર પણ જાગી ઊઠી છે અને કોરોનાને નિયંત્રણમાં લેવા એક પછી એક કડક પગલાં લઈ રહી છે. અમદાવાદ સહિતનાં ચાર મહાનગરમાં રાત્રિ કરફ્યુની મુદત ગઈ કાલે પૂરી થઈ છે એટલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે મીડિયા સાથેની વાતચીતમાં કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ કરફ્યુ નાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં તેની જાહેરાત કરાશે તેમ જણાવ્યું હતું, જોકે તેમણે તમામ મ્યુનિ. કોર્પોરેશનના કમિશનરને ત્યાંની સ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લેવાની છૂટ આપી છે.
રાતના દસ વાગ્યા પછી આ વિસ્તારોના કામધંધા બંધ
દરમિયાન, અમદાવાદમાં રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યુ લદાય તેવી શક્યતા છે. શહેરના જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગર એમ આઠ વોર્ડમાં હોટલ-રેસ્ટોરાં, મોલ, શો-રૂમ, ખાણી-પીણી બજાર, પાનના ગલ્લા અને ચાની કીટલી બંધ કરાવવા મ્યુનિ. તંત્રની રિક્ષા રાતના આઠ વાગ્યાથી ફરી રહી છે. રાતના દસ વાગ્યા પછી આ વિસ્તારોના કામધંધા બંધ રખાશે.
અત્યાર સુધીમાં રૂ. ૭૩ કરોડનો દંડ ભરનાર સામાન્ય નાગરિકોનું શું
ગઈ કાલે મ્યુનિ. મુખ્યાલયમાં મેયર સહિતના હોદ્દેદારોએ સત્તાગ્રહણ કરતી વખતે માસ્ક પહેરવાનું ટાળીને તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને લોકોનો રોષ વહોરી લીધો છે, જોકે મ્યુનિ. સત્તાવાળાઓ તો રાબેતા મુજબ મિંદડી મ્યાઉં થઈને બેસી રહ્યા હતા. તેમ છતાં હવે આવકનાં ફાંફાં અનુભવતી મ્યુનિ. તિજોરીને દંડની રકમથી ફરી છલોછલ કરવા મ્યુનિ. તંત્રની જેટની ટીમ શહેરીજનો પર આતંક મચાવશે તેવી પણ ચર્ચા ઊઠી છે. અત્યાર સુધીમાં રૂ. ૭૩ કરોડનો દંડ ભરનાર સામાન્ય નાગરિકોને મ્યુનિ. સત્તાધીશોની નાણાકીય ભૂખને છૂટકે-નાછૂટકે સંતોષવી પડશે તેમ મ્યુનિ. વર્તુળો આવેશભેર જણાવે છે.