દિવસેને દિવસે વધી રહેલાં કોરોનાના કેસ અને ગુજરાત આરોગ્ય તંત્રની બેદરકારીની હવે પોલ ખુલતી જાય છે તેવા દાવા થઈ રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાના સંક્રમણના દર સાથે મૃત્યુદર પણ ભયંકર સ્થિતિએ છે. એ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા એકાએક કોરોનાગ્રસ્ત દર્દીઓના નામ અને મૃત્યુ થનાર દર્દીઓના નામનું લિસ્ટ મીડિયાને આપવાનું બંધ કરાયું છે. આ લિસ્ટ ઉપયોગી એટલે હતું કારણ કે વિસ્તારની યાદીને કારણે સંક્રમિત વિસ્તારનો ખ્યાલ આવે અને સચેત રહી શકાય.
મીડિયાને ન આપતાં લિસ્ટ સામાન્ય લોકો વાયરલ કરે છે
તંત્ર લિસ્ટ ન આપી શું છુપાવવા માંગે છે તે સમજાતું નથી
કોરોનાના મૃત્યુઆંક અને સંક્રમણની સંખ્યા ઉંચી છતાં તંત્ર લિસ્ટ છુપાવવામાં રસ
કોરોના સંક્રમણને રોકવામાં નિષ્ફળ દેખાતું આરોગ્ય તંત્ર હવે દર્દીઓના મોતનો આંકડો અને સંક્રમણની સંખ્યા ઢાંકવા કામે લાગ્યું છે. આ ઉપરાંત કેટલાય દિવસો સુધી મૃતદેહો પડ્યા રહે છે તે ખુદ તંત્રને ખબર નથી હોતી. અમદાવાદ સિવિલની વાત કરીએ તો અત્યાર સુધીમાં 370 દર્દીઓનાં મોત થયા છે. અમદાવાદ સિવિલ તંત્ર દ્વારા દર્દીઓ ક્યારે મૃત્યુ પામે છે તેની પણ વ્યવસ્થિત માહિતી નથી.
રાજ્યમાં જે દિવસે સૌથી વધુ 39 દર્દીઓના મોત થયા એ દિવસે સાચી માહિતી મુજબ માત્ર 1 દર્દીનું મોત થયું હતું તેવી માહિતી મળી રહી છે, જ્યારે 38 દર્દીઓ આગળના 3 દિવસના હતા. આ ઉપરાંત લિસ્ટ ન આપી અન્ય લોકો જે કોરોનાના દર્દીના સંપર્ક આવેલાં હોય તેમના પર રિસ્ક ઉભું કરે છે. જો કે આ મુદ્દે આરોગ્ય તંત્ર એવું કહીં રહ્યું છે કે દર્દીઓની નામ જાહેર કરાતાં તેમના પરિવારજનોને દુઃખ પહોંચે છે. જો કે આરોગ્ય તંત્ર સામે એ પ્રશ્નાર્થ છે કે દર્દીઓના ઘરની આગળ કોરોન્ટાઈનના બોર્ડ મારવામાં પરિવારજનોને દુઃખ નહીં પહોંચતું હોય!
દર્દીઓની યાદી આરોગ્ય તંત્ર મીડિયાને નથી આપતી જ્યારે લોકોના વ્હોટ્સએપમાં લિસ્ટ ફરતાં હોય છે. આશ્ચર્યની વાતતો એ છે કે મીડિયાને લિસ્ટ નહીં આપવાં છતાં લોકો પાસે લિસ્ટ કેવી રીતે પહોંચી ગયું. અને લિસ્ટ સામાન્ય લોકો સુધી પહોંચે કેવી રીતે છે તે આરોગ્ય તંત્ર પર પ્રશ્નાર્થ ઉભો કરે છે.