કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં જુદી જુદી સમસ્યાઓ જોવા મળી રહી છે. દિલ્હીમાં 48 વર્ષીય મહિલામાં ગોલબ્લેડરની સમસ્યા જોવા મળી છે. જેના કારણે તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
કોરોનાને મ્હાત આપ્યા બાદ દર્દીઓમાં ગોલબ્લેડરની સમસ્યા
બ્લડ શુગરની સમસ્યા સૌથી વધારે જોવા મળી
વધતી બિમારીઓને કારણે ડૉક્ટરો પણ હેરાન પરેશાન
કોરોના વાયરસના બદલાતા લક્ષણોને લઈને રોજ નવા નવા તથ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વધુંમાં એવી માહિતી સામે આવી છે, કે જે લોકો કોરોનામાંથી સાજા થયા છે, તે લોકોના ગોલબ્લેડરમાં સોજો આવી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાને મ્હાત આપનાર દર્દીઓમાં શુગર લેવલ પણ જલ્દી વધી રહી છે તેવું એક સર્વેમાં સામે આવ્યું છે.
48 વર્ષીય મહિલાને થઈ ગોલબ્લેડરની સમસ્યા
દિલ્હીની 48 વર્ષીય એક મહિલાએ કોરોનાને મ્હાત આપી ત્યારબાદ તેનામાં થોડક દિવસ રહીને ગોલબ્લેડરની સમસ્યા જોવા મળી. આ સમસ્યાને લઈને ડૉક્ટરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કારણકે મહિલામાં જે સમસ્યા જોવા મળી છે તે સમસ્યા સામાન્ય રીતે પથરીને કારણે થતી હોય છે.
ડૉક્ટરો પણ મુંઝવણમાં
દિલ્હીના તબીબોનું કહેવું છે કે જે મહિલાને બિમારી થઈ છે તેને પથરી ન હતી. સાથેજ તેને ગોલબ્લેડર સાથે જોડાયેલી સમસ્યા પણ ક્યારેય નહોતી થઈ. કોરોનામાંથી સાજા થયા બાદ આવી બિમારી પહેલી વખત કોઈ વ્યક્તિના શરીરમાં જોવા મળી છે. જેને લઈને ડૉક્ટરો હાલ મુંઝવણમાં મુકાઈ ગયા છે. સાથેજ તેઓ આ મામલે રિસર્ચ પણ કરી રહ્યા છે.
પટના એઈમ્સ હોસ્પિટલે કર્યો સર્વે
પટનાની એઈમ્સ હોસ્પિટલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓ પર રિસર્ચ કર્યું, જેમા સામે આવ્યું કે દર્દીઓમાં થાક, મથાનો દુખાવો તેમજ બ્લડ શુગર જેવી સમસ્યા સર્જાઈ રહી છે. આ સર્વે બાદ તબીબોએ કુલ 3 હજાર જેટલા દર્દીઓ સાથે તેમની સમસ્યાને લઈે ચર્ચા કરી હતી.
સાજા થયા બાદ અલગ અલગ સમસ્યા
ઉલ્લેખનીય છે કે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં મોટા ભાગે બ્લડ શુગર જેવી સમસ્યા વધારે જોવા મલી રહી છે. તે સિવાય તેમનામાં અશક્તિ પણ આવી જાય છે. ઘણા લોકોનું કહેવું છે કે તેમને પહેલા કરતા વધારે થાક લાગતો હોય છે. તો અમુક લોકોને તો બ્લેક ફંગસ જેવ સમસ્યાઓ પણ થતી હોય છે.