વિશ્વ સહિત ભારતભરમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત રહ્યો છે. દિલ્હી સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અનલૉક બાદ અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ બદલાઇ છે.
અનલૉક બાદ શહેરમાં કોરોનાની સ્થિતિ બદલાઈ
સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટ્યા
1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ 261 દર્દીઓ
રાજ્યની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ માત્ર 261 દર્દીઓ જ સારવાર લઇ રહ્યાં છે. હર્ડ ઇમ્યુનીટી વધતા કોરોનાના દર્દીઓમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 211 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 202 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,339 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 147 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,238 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1,456 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3631એક્ટિવ કેસ છે.
રાજ્યમાં 24 કલાકમાં 681 નવા કેસ નોંધાયા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં 681 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 33,999 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 563 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 24,601 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 19 લોકોના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 1,888 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.