અમદાવાદમાં 108માં આવ્યા વગર હોસ્પિટલમાં પ્રવેશ ન મળતા હોવાની ફરિયાદો વધી છે અને તંત્રના કારણે લોકોના મોતની ઘટનાઑ સામે આવી રહી છે.
અમદાવાદમાં ઠેર ઠેર હોસ્પિટલોમાં બેડની સમસ્યા
તંત્રની 108ની ગાઈડલાઇનના કારણે આવી રહી છે ફરિયાદો
અમદાવાદ તંત્રના નવા નવા નિયમો લઈ રહ્યા છે જીવ
તંત્રના નવા નવા ફરમાનોથી દમ તોડતા અમદાવાદીઓ
અમદાવાદમાં કોરોના વાયરસના કારણે લોકોમાં અફરાતફરી જેવો માહોલ છે ત્યાં તંત્રની અવ્યવસ્થાનો ભોગ જનતા બની રહી છે. અમદાવાદમાં તંત્ર દ્વારા કોરોનાકાળમાં દર બીજા દિવસે નવા નવા ફરમાન બહાર પાડવામાં આવી રહ્યા છે જેના કારણે જનતાને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટી હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી છે અને લોકો સારવાર વગર જ હોસ્પિટલની બહાર જ દમ તોડી રહ્યા છે એવામાં તંત્ર દ્વારા બનાવવામાં આવેલા નવા નવા નિયમો સામે રોષ જોવા મળી રહ્યો છે અને આ નિયમો બદલવા માટે માંગ કરવામાં આવી રહી છે.
વટવાની મહિલાએ સિવિલની બહાર જ અંતિમ શ્વાસ લીધા
આવી જ અન્ય એક ઘટના અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહારથી આવી છે. વટવાની એક મહિલાએ એશિયાની સૌથી મોટી હોસ્પિટલની બહાર જ વ્હીલચેર પર અંતિમ શ્વાસ લીધા. ગુજરાત મોડલના મોટા મોટા દાવા તથા સારી મેડિકલ સુવિધાઓના દાવાઑ વચ્ચે લાચારી એવી છે એ સૌથી મોટી હોસ્પિટલની બહાર સારવાર વિના જ દર્દીએ દમ તોડી દીધો. મહિલાના પતિ પોતાની કોરોનાગ્રસ્ત પત્નીને લઈને જુદી જુદી હોસ્પિટલોમાં રઝળ્યા છતાં તેમને ક્યાંય એડમિટ કરવામાંઆ આવ્યા નહીં. મહિલા ઑક્સીજન માટે તરફડતી રહી અને તંત્રની આ કોરોના ગાઈડલાઇને મહિલાનો જીવ લીધો.
શારદાબેન હોસ્પિટલ બહારની ઘટના
અમદાવાદની શારદાબેન હોસ્પિટલની બહારનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં આરોપ છે કે કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલે દાખલ ન કર્યો. તંત્રના આદેશ અનુસાર 108 મારફતે આવેલા દર્દીઓને જ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવતો હોવાથી કોરોનાગ્રસ્ત દર્દીની માતા પોતાના દીકરાને લઈને રસ્તા પર જ બેસવા મજબૂર બની હતી. કોરોનાગ્રસ્ત પરિવાર સવારથી 108ની રાહ જોઈ રહ્યું હતું અને ઍમ્બ્યુલન્સ ન આવતા માતા પોતાના દીકરાને લઈને હોસ્પિટલ પહોંચી હતી પરંતુ અંદર પ્રવેશ આપવામાંઆ આવ્યો નહીં, માતા હોસ્પિટલની બહાર જ બેસી રહી અને હોસ્પિટલ તંત્રના લોકો માત્ર ઊભા ઊભા જોઈ રહ્યા. જોકે શારદાબેન હોસ્પિટલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ત્યાંનાં ડોક્ટરે તેમને સિવિલમાં જવા માટે સલાહ આપી હતી અને પ્રયાગ ભટ્ટ નામક ડૉક્ટરે જણાવ્યું કે દર્દી કોરોના વાયરસના રિપોર્ટ વગર આવ્યા હતા.
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં માનવતા મરી, દર્દીને હોસ્પિટલમાં નથી કરતા દાખલ, 108 એમ્બ્યુલન્સમાં આવે તો જ દર્દીને દાખલ કરે છે, 108 નું વેઇટિંગ હોવાથી માતા દીકરાને લઈને હોસ્પિટલમાં પહોંચી, પરંતુ પ્રવેશ નહિ મળતા દીકરો રોડ પર સૂતો