રાજકોટમાં કોરોના રિ-ઇન્ફેક્શનનો પ્રથમ કેસ નોંધાતા રાજકોટ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી છે. જૈન અગ્રણીને એજ માસમાં 2 વખત કોરોના ડિટેક્ટ થયો છે. જોકે દેશમાં હાલ અનેક જગ્યાથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે કે, કોરોના થયેલા લોકોને ફરી કોરોના થઈ રહ્યો છે.
રાજકોટના દર્દીમાં એક જ માસમાં 2 વખત કોરોના ડિટેક્ટ થયો
તબીબી જગત માટે અભ્યાસ સાથે ચિંતાનો વિષય
અગાઉ અમદાવાદમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો
રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા ત્યારે રાજકોટ અને ગુજરાત માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં ફરી કોરોનાનો ચેપ લાગવાના વધી રહેલા કેસથી વધુ ચિંતાજનક સ્થિતિ બની છે. કોરોનાને મ્હાત આપી ઘરે ગયેલા કેટલાક લોકોને ફરી કોરોના થયો હોવાનું સામે આવી રહ્યું છે. તેમાંનો ગુજરાતનો વધુ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે અને આ રાજકોટનો પ્રથમ કિસ્સો છે. 22 ઓગસ્ટના રોજ જૈન અગ્રણી(દર્દી) કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે સારવાર બાદ તેઓ કોરોના મુક્ત થયા હતા. પરંતુ તેઓ 23 સપ્ટેમ્બરે ફરી કોરોના સંક્રમિત થતા તબીબી જગત માટે અભ્યાસ સાથે ચિંતાનો વિષય બની ગયો છે.
રાજ્યમાં અગાઉ 4 વ્યક્તિઓને ફરી થયો હતો કોરોના
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ અગાઉ 4 વ્યક્તિઓને ફરી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડની મહિલા અને અન્ય ત્રણ ગુજરાતની અલગ અલગ હોસ્પિટલના ડોક્ટર્સને ફરીવાર કોરોના થયો હતો.
તો સંશોધનનાં ચોંકાવનારા તારણો સામે આવી રહ્યાં છે કે કોરોનાથી એક વાર સાજા થઈ જાવ એટલે તમારામાં ઍન્ટિબૉડી બને અને ફરી તમે એનો ભોગ ના બનો એવું નથી, પરંતુ કોરોના વાયરસ ફરીથી તમારા પર હુમલો કરી શકે છે.