દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 લોકોના મોત થયા છે અને 20 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ગુરૂવારે કોરોના વાયરસના બે કેસ પોઝિટિવ આવ્યા છે. સુરત અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમને સારવાર હેઠળ ખસેડાયા છે. ત્યારે રાજકોટના યુવકનું ચેકઅપ કરનારા ડૉક્ટર પણ બીમાર પડ્યા છે.
ગુજરાતના સુરત અને રાજકોટમાં એક-એક કોરોના પોઝિટિવ કેસ
રાજકોટનો યુવક મક્કા મદીનાથી ભારત પરત ફર્યો હતો
યુવકનું ચેકઅપ કરનાર ડૉક્ટર પણ બીમાર પડ્યા
ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. સુરત અને રાજકોટમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વીટ કરી માહિતી આપી છે. ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રીના પગલે સરકારની પણ ચિંતામાં વધારો થયો છે. હાલ બંને દર્દી સારવાર હેઠળ છે. બંને દર્દી વિદેશથી આવ્યા હતા. બન્નેની હાલત હાલ સ્થિર છે. પરંતુ સાઉદી અરેબિયા મક્કા મદીનાથી આવેલ યુવકનું ચેકઅપ કરનાર ડૉક્ટર પણ બીમાર પડ્યા છે. દેવપરમાં ક્લિનિક ચલાવે છે આ ડૉક્ટર. ડૉક્ટર બીમાર પડતા તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમના 4 પરિવારજનોમાં પણ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે.
રાજકોટનો યુવક મક્કા મદીનાથી ભારત પરત ફર્યો હતો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજકોટમાં સારવાર લઈ રહેલો દર્દી સાઉદી અરેબીયાના મક્કા મદીનાથી ભારત પરત ફર્યો હતો. તેઓને કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા 17 માર્ચે પી.ડી.યુ. મેડીકલ કોલેજ રાજકોટ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. તેઓની વિગતવાર તપાસ હાથ ધરતાં તેઓના લક્ષણો કોરોના વાયરસ રોગને મળતા આવતાં તાત્કાલિક તેને સેમ્પલ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામમનગર ખાતે મોકલ્યા હતા. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
તેમના પરિવારજનો સહિત કુલ 17 લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે
રાજકોટમાં જે દર્દીનો કેસ પોઝિટિવ આવ્યો છે તેમના પરિવારજનો સહિત કુલ 17 લોકોને પણ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જે લોકોનો દર્દી સાથે રૂબરૂ સંપર્ક થયો છે તે તમામને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. પ્રજાની જાગૃતિ માટે પગલાઓ લેવામાં આવેલા છે. આઈસોલેશિન બોર્ડની સુવિધા શરૂ કરાઇ છે.