લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો માટે બસ ચલાવવાને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને એકવાર ફરી પત્ર લખ્યો છે. ગૃહ સચિવને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આગ્રા તંત્ર 3 કલાકથી બસોને પ્રવેશની મંજૂરી આપી રહ્યું નથી. તેઓએ અપીલ કરી છે કે રાજ્યમાં બસોને પ્રવેશની મંજૂરી આપવામાં આવે.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતનો આરોપ, ઉત્તર પ્રદેશની સરકાર અમારા ટ્રાન્સપોર્ટરોને ધમકાવી રહી છે
બીજી તરફ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશની સરકાર અમારા ટ્રાન્સપોર્ટરોને ધમકાવી રહી છે. તેઓએ કહ્યું કે યોગી સરકારની આરટીઓ અમારા ટ્રાન્સપોર્ટરોને ધમકી આપી રહી છે, જેમણે બસ ઉપલબ્ધ કરાવી છે.
આ પહેલા પ્રિયંકા ગાંધીના સચિવ સંદીપ સિંહે અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીને પત્ર લખીને કહ્યું હતું કે વધારે બસો હોવાને કારણે તેઓને મંજૂરી લેવામાં કેટલોક સમય લાગી રહ્યો છે. જોકે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમામ બસો ઉત્તર પ્રદેશ બોર્ડર પર પહોંચાડવામાં આવશે.
જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકારે દાવો કર્યો હતો કે પ્રિયંકાની ઓફિસ તરફથી આપવામાં આવેલા લિસ્ટમાં કેટલાક નંબર મોટરસાઇકલ, કાર તથા થ્રી વ્હીલર વાહનોના છે.
જ્યારે ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે પ્રિયંકા ગાંધી વાડ્રાના સચિવને લખેલા પત્રમાં કહ્યું કે 500 બસો ગાઝિયાબાદના સાહિબાબાદ અને 500 બસો નોઇડામાં ઉપલબ્ધ કરાવી દો. તમામ બસોને બંને જિલ્લાઓના કલેક્ટર રિસીવ કરશે. નોંધનીય છે કે પ્રિયંકા ગાંધીએ પ્રવાસી શ્રમિકો માટે 1000 બસો મોકલવા માટે પ્રદેશ સરકાર પાસે મંજૂરી માંગી હતી.