કોરોના સંકટ અને લોકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા વિખેરાઈ ચૂકી છે. આને કારણે મહેસૂલી નુકસાનની સાથે જ સરકારના ખર્ચમાં પણ વધારો થયો છે. આ પરિસ્થિતિથી સરકારની નવી યોજનાઓને અસર થવા લાગી છે. જેના કારણે કેન્દ્ર સરકારે નવી યોજનાઓની રજૂઆત બંધ કરી દીધી છે. નાણાં મંત્રાલયે આગામી 9 મહિના સુધી અથવા માર્ચ 2021 સુધી વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા મંજૂર નવી યોજનાઓની રજૂઆત બંધ કરી દીધી છે.
કોરોનાનો કહેર વધતાં મોદી સરકારનો નિર્ણય
2021 સુધી કોઈ નવી સ્કીમ લોન્ચ નહીં કરવામાં આવે
સરકારે અનેક નવી યોજનાઓ પર હાલમાં લગાવી બ્રેક
કોરોનાની લડાઇમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2020-21 માટે કોઈ નવી યોજનાની રજૂઆત અટકાવી દીધી છે. આ પ્રતિબંધો તે યોજનાઓ પર છે, જે માન્ય અથવા રેટેડ કેટેગરીમાં છે. આ હુકમ તે યોજનાઓ પર પણ લાગુ થશે જેના માટે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ યોજનાઓ પર કોઈ પ્રતિબંધ નહીં
જો કે આત્મનિર્ભર ભારત અને વડાપ્રધાનની ગરીબ કલ્યાણ યોજનાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જુદા જુદા મંત્રાલયો નવી યોજનાઓ શરૂ ન કરે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અથવા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત જાહેર કરાયેલ યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
નાણામંત્રાલયે જાહેર કર્યો છે આદેશ
નાણામંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા 4 જૂને જાહેર કરાયેલા એક આદેશમાં જણાવ્યું છે કે, કોરોના રોગચાળાને પગલે જાહેર નાણાંકીય સંસાધનો પર અભૂતપૂર્વ માંગ છે અને બદલાતી પ્રાથમિકતાઓ સાથે સ્રોતોનો ન્યાયપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "સ્થાયી નાણાં સમિતિની દરખાસ્તો (રૂ. 500 કરોડથી વધુની યોજનાઓ) સહિત નાણાકીય વર્ષ 2020-21માં પહેલેથી મંજૂર અથવા મંજૂરીવાળી નવી યોજનાઓની રજૂઆત એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવશે."
કોરોના સંકટને ધ્યાનમાં રાખીને લેવાયો છે આ મહત્વનો નિર્ણય
નાણાંમંત્રાલયે કોરોના સંકટને કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, કારણ કે સરકારને ઓછી આવક મળી રહી છે. કેટલાક ખાસ રિપોર્ટ બતાવે છે કે એપ્રિલ 2020 દરમિયાન આવક રૂ. 27,548 કરોડ હતી, જે બજેટના અંદાજના 1.2% હતી. જ્યારે સરકારે 3.07 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો, જે બજેટના અંદાજમાં 10 ટકા હતો.
નાણાંકીય સંકટને કારણે સરકાર પણ વધુ દેવું લઈ રહી છે. તાજેતરમાં જ સરકારે જાહેરાત કરી હતી કે તે તેના ચાલુ વર્ષને માટે બજારમાંથી લોન લેવાનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 4.2 લાખ કરોડથી વધારીને 12 લાખ કરોડ કરશે. નાણાં મંત્રાલયે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં, અંદાજિત દેવું રૂ. 7.80 લાખ કરોડને બદલે 12 લાખ કરોડ રૂપિયા થશે. એકાઉન્ટ્સના નિયંત્રક જનરલ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે નાણાંકીય વર્ષના પહેલા મહિનામાં અંદાજીત નાણાકીય ખાધ એક તૃતીયાંશ કરતા વધુ રહી છે.