કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી જે આજે પૂરો થઇ રહ્યો હતો. જોકે કોરોના વાયરસના વધતા ખતરાને જોતા દેશમાં ત્રીજી મે સુધી લોકડાઉનને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનના કારણે ભારતના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે. પહેલાં 21 દિવસના લોકડાઉનમાં જ દેશને અબજો રૂપિયાનું નુકસાન થઇ ગયું છે.
વિશ્વના સૌથી મોટા લોકડાઉનનું બીજું ચરણ શરુ
ભારતના અર્થતંત્રને 8 લાખ કરોડનું નુકસાન
ભારતની 70 ટકા આર્થિક ગતિવિધિ થંભી ગઈ, હવે બીજા ચરણમાં નુકસાન વધવાની ભીતિ
દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું 21 દિવસનું લોકડાઉન
લોકડાઉનના પહેલાં ચરણમાં ભારતની ઈકોનોમીને જોરદાર ઝટકો લાગ્યો છે. અત્યાર સુધી અર્થતંત્રનાં આઠ લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24મી માર્ચનાં સંપૂર્ણની લોકડાઉનની જાહેરાત કરી હતી. વિશ્વનાં સૌથી મોટા લોકડાઉનના કારણે આઠ લાખ કરોડ રૂપિયાનાં નુકસાન અનુમાન છે. હવે જ્યારે આ લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે ત્યારે નુકસાન પણ વધવાની આશંકા છે.
ભારતના અર્થતંત્રને જોરદાર ઝટકો
લોકડાઉનના કારણે મોટા ભાગનાં ઉદ્યોગ-ધંધા બંધ છે. જાહેર પરિવહન ઠપ કરી દેવામાં આવ્યા છે. લોકોની અવરજવર બંધ થઇ જવાના કારણે ભારતની 70 ટકા આર્થિક ગતિવિધિ બંધ થઇ ગઈ હતી. જેના કારણે ભારતનાં અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો.
ભારતનો આર્થિક વિકાસ દર ઘટશે
નોંધનીય છે કે ભારતનું અર્થતંત્ર પહેલેથી મંદીની માર સહેન કરી રહ્યું હતું. એવામાં કોરોનાના કારણે પડતા પર પાટું જેવા હાલ થયા. લોકડાઉનનાં કારણે દેશ-વિદેશની રેટિંગ એજન્સીઓએ આગામી સમયમાં ભારતની આર્થિક વિકાસ દર પણ ઘટાડી દીધો છે.