એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. એક એવો સર્વે જે લોકડાઉનથી લઈને અત્યાર સુધીની રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર કરવામાં આવ્યો છે. જેમાં સરકારના ઓનલાઈન શિક્ષણનો ફિયાસ્કો થયો હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ સરકાર અને ખાનગી શાળાઓની મીલિભગતની પોલંપોલ પણ ખુલ્લી પડી છે.
મહામારીની શિક્ષણવ્યવસ્થા પર અસર
મધ્યમવર્ગના પરિવારનો સર્વે
બાળકો રહ્યાં શિક્ષણકાર્યથી વંચિત
IIM અમદાવાદ અને યુનિસેફ ગુજરાત દ્વારા શરૂ કરાયેલા નોલેજ મેનેજમેન્ટ એન્ડ ઇનોવેશન ફોર ચેન્જ દ્વારા અમદાવાદ શહેરના ઓછી આવક ધરાવતા 375 પરિવારોના 700 બાળકોના શિક્ષણકાર્ય પર થયેલી અસરનો સર્વે કરાયો હતો. આ સર્વે અનલોક બાદ જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન કરવામાં આવ્યો છે. IIMના સંશોધકોએ ઓછી આવક ધરાવતા પરિવારોનો ટેલિફોનિક સર્વે કર્યો છે. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી છે.
85 ટકા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની કોઈ જ સહાય મળી નથી
85 ટકા વાલીઓએ જણાવ્યું હતું કે માર્ચથી વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની કોઈ જ સહાય મળી નથી. લોકડાઉનમાં શાળાઓ બંધ હોવાથી સરકારે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનું અનાજ અને રાંધવાના પૈસા સીધા વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરી હતી. પરંતુ સર્વેમાં બહાર આવ્યું છે કે 85 ટકા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનના ચોખા, ઘઉં કે કઠોળ મળ્યા નથી.
30 ટકા બાળકો માર્ચ મહિનાથી કોઈ જ પ્રકારના શિક્ષણકાર્ય સાથે જોડાયા નથી
સર્વેમાં બીજી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે શહેરના 30 ટકા બાળકો માર્ચ મહિનાથી કોઈ જ પ્રકારના શિક્ષણકાર્ય સાથે જોડાયા નથી. જેમાં સૌથી વધુ 33 ટકા બાળકો ખાનગી શાળાઓ સાથે જોડાયેલા છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતા ઓછી આવકવાળા પરિવારોના બાળકો અને RTI હેઠળ ખાનગી શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારોના બાળકો કોઈપણ પ્રકારના શિક્ષણ સાથે જોડાયા નથી.
60 ટકાથી ઓછા ઘરોમાં 4જી સ્માર્ટફોનની સુવિધા
સર્વે મુજબ 60 ટકાથી ઓછા ઘરોમાં 4જી સ્માર્ટફોનની સુવિધા છે. ઉપરાંત હાઇસ્પીડ ઈન્ટરનેટના રિચાર્જ અને એક કરતાં વધુ ડીવાઇસની જરૂરિયાત હોવાને કારણે બાળકો અભ્યાસથી દૂર રહ્યા છે. ખાસ કરીને ખાનગી શાળાના બાળકોને ઓનલાઇન શિક્ષણ કે ફિઝિકલ મટીરીયલ મળ્યું નથી.
50 ટકા વાલીઓ ખાનગી શાળામાં ફી ના ભરી શક્યા
સર્વેમાં એપણ સામે આવ્યું કે, ઘણા વાલીઓને ખાનગી સ્કૂલોમાં ફી ભરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સરકારના આદેશને અવગણીને શાળાઓએ ફી ભરવા માટે દબાણ કર્યું. 40 ટકા વાલીઓ સરકારે જાહેર કરેલી ફી માફીથી અજાણ છે. જ્યારે 50 ટકા વાલીઓ ફી ના ભરી શકવાને કારણે પોતાના બાળકને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં કે નહીં ભણાવવાનું જણાવ્યું.
અમદાવાદમાં 30 ટકા બાળકોનું શિક્ષણથી વંચિત રહ્યા
આમ, ડ્રોપ આઉટ રેશિયો વધવાની શક્યતા છે. જોકે ક્યાંકને ક્યાંક 30 ટકા બાળકોનું શિક્ષણથી વંચિત રહેવું તે જ દર્શાવે છે કે, આ સરકારે કોના માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું. આ તો માત્ર અમદાવાદ શહેરના આંકડા છે. જો ગામડા લેવલે સર્વે થાય તો 75 ટકા બાળકો અભ્યાસથી વંચિત રહ્યાનું પણ સામે આવી શકે છે.