દેશમાં ધીરે ધીરે કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે કોરોનાએ પણ નવુ રુપ ધારણ કરતા કેન્દ્ર સરકારે બેઠક બોલાવીને સાવચેત રહેવાના આપ્યા આદેશ
કોરોના બદલી રહ્યુ છે રુપ
કેન્દ્ર સરકારે દેખરેખ વધારવાનો આપ્યો આદેશ
સતર્કતા રાખવી ખૂબ જરુરી
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસ સતત તેનું રુપ બદલી રહ્યો છે. જેને કારણે સંક્રમણ વધ્યુ હોવાનું સામે આવી રહ્યુ છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ દેશભરમાં કોરોનાને લઇને દેખરેખ વધારે રાખવાનો આદેશ આપી દીધો છે. મંગળવારે સ્વાસ્થ્ય મંત્રીએ કોરોનાના નવા XE વેરિઅન્ટને લઈને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. નવા વેરિઅન્ટની ઓળખ અને સઘન દેખરેખ અંગે પણ માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
સ્વાસ્થ્યમંત્રી- વિશેષજ્ઞોની બેઠકમાં શું થઇ વાતચીત ?
મીટીંગમાં નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપના ચેરમેન ડૉ.એન.કે. અરોડાએ યુકે, ચીન અને અમેરિકાની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી અને રસીકરણ અને સાવચેતીના ડોઝ વિશે માહિતી આપી હતી. તે જ સમયે, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડૉ. સુજીત કુમાર સિંઘે કેરળ, મિઝોરમ, દિલ્હી, હરિયાણા સહિત લગભગ પાંચ રાજ્યોમાં ચેપના કેસમાં વધારાની માહિતી આપી હતી.
જિલ્લાવાર સમીક્ષા કરવી જરૂરી
આરોગ્ય પ્રધાને નિર્દેશ આપ્યો છે કે રાજ્ય સરકારો સાથે સંપર્કમાં વધારીને કોવિડ તકેદારી નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવે. રસીકરણ અંગેની જિલ્લાવાર પરિસ્થિતિની દરરોજ સમીક્ષા થવી જોઈએ. જો જિલ્લાઓ અથવા રાજ્યો જોખમની સ્થિતિમાં જોવા મળે તો કેન્દ્રીય સ્તરે પણ પ્રયાસો તેજ કરવા જોઈએ. મહત્વનું છે કે દેશમાં XE સ્ટ્રેનનો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે. જો કે આ પહેલા પણ એક કેસ મુંબઈમાં જોવા મળ્યો છે, પરંતુ તેની પુષ્ટિ થઈ નથી. WHOએ તેને BA.2 સ્ટ્રેઈન કરતાં 10 ટકા વધુ સંક્રમિત ગણાવ્યું છે.
Omicron નવા વેરિઅન્ટને કરે છે પ્રમોટ
નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલ અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ પણ બેઠકમાં હાજર હતા. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ઘણા નવા વેરિઅન્ટને પ્રમોટ કરી રહ્યું છે. આમાં XE શૃંખલાના XE અને શ્રેણીની અન્ય સ્ટ્રેનનો સમાવેશ થાય છે. જો કે હાલમાં આ વેરિએન્ટને લઇને કોઇ ગંભીર સ્થિતિ જોવા મળી રહી નથી પરંતુ સતર્કતા રાખવી જરુરી છે.
એક દિવસમાં 796 કેસ મળ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે છેલ્લા એક દિવસમાં 796 નવા કેસ નોંધાયા હતા જ્યારે સોમવારે 861 કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોનાને કારણે 19 લોકોના મોત થયા છે. છેલ્લા એક દિવસમાં 946 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. આના કારણે, સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 10,889 પર આવી ગઈ છે, જે વર્ષ 2020 પછીની પરિસ્થિતિમાં સૌથી ઓછી છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા એક દિવસમાં ચેપને કારણે 19 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,21,710 લોકોના મોત થયા છે.