રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છેલ્લા 24 કલાકમાં 2410 નોંધાયા છે. આજે 2015 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા તો, 9 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં કોરોનાના વધતા કેસથી સાવધાન
રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ 2410
2015 દર્દીઓને ડિસ્ચાર્જ, 9 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં કાળ બનેલા કોરોનાના રોજબરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજના દિવસે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,410 કેસ નોંધાયા છે. તેની સામે 2,015 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે 155 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે રાજ્યમાં કુલ 12,996 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4,528 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,92,584 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.
રાજ્યમાં જિલ્લા પ્રમાણે કોરોનાના કેસ
જિલ્લા પ્રમાણે નવા કેસોના આંકડા જોવામાં આવે તો, અમદાવાદ શહેરમાં 613 કેસ, ગ્રામ્યમાં 13 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરમાં 664 કેસ અને ગ્રામ્યમાં 151 નવા કેસ નોંધાયા છે. આ સાથે વડોદરામાં પણ હવે કોરોનાનું સંકટ વધી રહ્યું છે.
વડોદરા શહેરમાં 292 કેસ, ગ્રામ્યમાં 71 નવા કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 33 કેસ અને ગ્રામ્યમાં 10 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં 179 કેસ અને ગ્રામ્યમાં 44 કેસ સામે આવ્યા છે. જામનગર શહેરમાં 32 કેસ, ગ્રામ્યમાં 24 કેસ નવા દાખલ થયા છે. જ્યારે રાજ્યના પાટનગર કહેવાતા ગાંધીનગરમાં 27 કેસ, ગ્રામ્યમાં 25 કેસ નોંધાયા છે.
રાજ્યમાં રસીકરણના આંકડા
સરકાર દ્વારા રાજ્યમાં રસીકરણની કામગીરી પણ વધારવામાં આવી છે. જેમાં 53,68,002 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. તો 6,97,680 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. જ્યારે કુલ 60,65,682 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.
સુરતમાં સ્વામિનારાયણ સંતો થયા સંક્રમિત
તો આ તરફ સુરતમાં BAPSના સંતો કોરોના સંક્રમિત થયા છે. અડાજણ સ્થિત BAPS મંદિરમાં કોરોનાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એક સાથે 10 સંતો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર છે. સંતોના સંપર્કમાં આવેલ લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું છે. ભક્તોની માહિતી મેળવી ચકાસણી કરાશે.
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમદ રોજબરોજ વધી રહ્યું છે. 25થી વધુ વિસ્તારોમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં ગોપીપુરા, ચોકબજાર, નાનપુરામાં વધુ કેસ સામે આવી રહ્યા છે. સગરામપુરા, બેગમપુરા સહિતના વિસ્તારોમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં વધુ સંક્રમણથી મનપાની ચિંતા વધી રહી છે.