સમગ્ર વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. ઘણા લાંબા સમયથી શાળા-કોલેજો બંધ છે તો હવે ઓનલાઇન ભણતરની પણ વ્યવસ્થા ગોઠવાતી જાય છે ત્યારે ગુજરાત સરકારે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા કરાયો ઘટાડો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા કરાયો નિર્ણય
કોરોના મહામારીને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
પ્રાપ્ત થતાં અહેવાલો પ્રમાણે, કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાત સરકારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાના ઘટાડો કરાયો છે તો પરીક્ષા પદ્ધતિમાં પણ માટાપાયે ફેરફાર કરાયો છે. બોર્ડના નિર્ણય મુજબ ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા કર્યું છે. જે અગાઉ 20 ટકા હતું.
ધોરણ-12 સાયન્સમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક સવાલો
ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ જ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.
WWW.GSEB.ORG વેબસાઇટ પર મુકાઇ વિગત
આ ફેરફાર પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ છે. આ તમામ ફેરફાર અંગેની જાણ રાજ્યના શિક્ષણાધિકારીઓને કરવામાં આવી છે તથા WWW.GSEB.ORG વેબસાઇટ પર સત્તાવાર રીતે પરિપત્રો અને ફેરફાર મુકવામાં આવ્યા છે.