પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિન્દુ ધારાસભ્યા રાણા હમીર સિંહ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તેમના દીકરા કુંવરકર્ણી સિંહના લગ્ન 2015માં જયપુરના કાનોતા શાહી પરિવારમાં થયાં છે. હમીરના પિતા રાણા ચંદ્રસિંહ ગત સદીના છેલ્લા દાયકામાં નવાઝ શરીફ સરકારની કેબિનેટમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
પાકિસ્તાનમાં ઘેરાયું કોરોના સંકટ
હિન્દુ રાજા હમીરસિંહ આવ્યા કોરોનાની ઝપેટમાં
પાકિસ્તાનમાં કોરોનાની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા 15 હજારને પાર પહોંચી છે. આ સાથે જ અત્યાર સુધીમાં 327 લોકોના કોરોના વાયરસને કારણે મોત થયાં છે.
કોણ છે રાણા હમીર સિંહ?
રાણા હમીરસિંહ પાકિસ્તાનમાં શાનથી રાજ કરે છે અને રાજકીય પ્રભુત્વ પણ ધરાવે છે. હમીરસિંહ પાકિસ્તાનમાં સાંસદ પણ છે અને વર્ષોથી જીત મેળવે છે. રાણા ન માત્ર હિન્દુ પરંતુ મુસ્લિમોમાં પણ પ્રિય છે અને કોઈ પણ સમયે દુશ્મનોને લલકારે છે.
પાકિસ્તાન કે જ્યાં હિન્દુઓને દબાવીને રાખવામાં આવે છે. એ જ જમીન પર આ હિન્દુ રાણા હમિરસિંહ પાકિસ્તાનમાં શાહી ઠાઠમાઠથી પોતાનું રાજ ચલાવે છે. રાણા એક જ એવા નિડર નેતા છે જે પાકિસ્તાનમા પણ ખુલ્લા સિંહ માફક ફરે છે અને હિન્દુ રીત રિવાજનું સંપૂર્ણ પાલન કરે છે. એક રાજપૂત તરીકેની તેમની પ્રતિભા એવી છે કે કોઈ પણ વ્યક્તિ રાણાના ઉમરકોટ જીલ્લામાં તેમની પરવાનગી વગર પગ પણ મુકી શક્તો નથી.
એક રાજપૂત તરીકે હમીરસિંહમાં પણ પ્રખર વીરતાની છટાં જોવા મળે છે. તેમણે પાકિસ્તાનના નેતાઓ, તત્કાલિન પ્રધાનમંત્રી નવાઝ શરીફ તથા જનરલ પરવેશ મુશરફને પણ ખુલ્લેઆમ લલકાર્યા હતાં અને કહ્યું હતું કે, જો હિન્દુઓ સાથે લડવાની તમારી ક્ષમતા હોય તો આવી જાઓ રણ મેદાનમાં તમારી કાયરતા છોડો, જો હિન્દુઓ પર તમારે પીઠ પાછળ વાર કરવાના હોય તો અમે પણ તે કરી શકીએ છીએ. સાથોસાથ ચેતવણી આપતા કહ્યું હતું કે જો તમે માન-ઈજ્જત આપશો તો હું ખાતરી આપુ છું કે અમારા તરફથી પણ તમને એવો જ પ્રતિભાવ મળશે. અન્યથા લડવા માટે પણ અમે તૈયાર જ છીએ.
પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વવાદી વિચારો ધરાવતા વીર હમીરસિંહ જ્યારે પણ કોઈ વ્યક્તિને મળે છે ત્યારે તેઓ હંમેશા જય શ્રીરામ બોલીને જ વાતની શરુઆત કરે છે. રાણા હમીરસિંહ બોલવા કરતા કરી બતાવવામાં વધુ માને છે. તેમણે એકવાર પાકિસ્તાનની ધરતી પર ખુલ્લેઆમ ભારતીય રાષ્ટ્રધ્વજ પણ લહેરાવ્યો હતો, પરંતુ કોઈએ તેમને લલકારવાની હિંમત દાખવી ન હતી. તેના પરથી જ સમજી શકાય છે કે આ રાજપૂત રાણા હમીરસિંહનો વટ કેટલો હશે. તો હમીરસિંહનું રાજકીય વજૂદ પણ ખુબ મોટું છે. હમીરસિંહ ભૂતકાળમાં પાકિસ્તાનના કૃષિમંત્રી પણ રહી ચુક્યા છે. તો તેમના પિતા ચંદ્રસિંહ સોઢા પણ 7 ટર્મ સુધી પાકિસ્તાનમાં સાંસદ રહ્યા હતા. તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. ભુટ્ટો સાથે તેમના સંબંધ સારા રહ્યા હતા. તેમ છતાં તેમણે વર્ષ 1990માં PPP છોડીને પાકિસ્તાન હિન્દુ પાર્ટી એટલે કે PHPની સ્થાપના કરી હતી અને આ જ પાર્ટી પાકિસ્તાનમાં વસતા હિન્દુ લોકોના હક પાટે લડે છે.
2009માં ચંદ્રસિંહ સોઢાના અવસાન બાદ 53 વર્ષીય વીર હમિરસિંહ એ PHPનું સુકાન સંભાળ્યું અને રાણા હમીરસિંહ 3 વખત ઉમરકોટના સાંસદ બન્યા હતા અને આજે પણ હિન્દુઓની રક્ષા કાજે તેઓ અવાજ ઉઠાવે છે. તેથી પાકિસ્તાનમાં વસતા દરેક હિન્દુ સમાજનો તેમને સંપૂર્ણ ટેકો હોય છે. તેમની નિડરતાથી અને દુશ્મનો સાથે બાથ ભીડવાની શક્તિથી ત્યાંના સ્થાનિક મુસ્લિમો પણ પ્રભાવિત છે. તેથી ઉમરકોટના મુસ્લિમો પણ રાણાને સલામ કરે છે.