અમદાવાદ શહેરમાં કોરોનાનો મહાપ્રકોપ શાંત પડ્યો છે, પરંતુ કોરોનાએ હજુ સંપૂર્ણ વિદાય લીધી નથી. અત્યારે ભલે કોરોનાથી કોઈનાં મૃત્યુ થતાં નથી, પરંતુ કોમોર્બિડ દર્દી માટે આજેય કોરોના જોખમી તો છે જ.
કોરોના હજુ ગયો પણ નથી ત્યાં લોકોએ વેક્સિનના સેકન્ડ ડોઝથી મોં ફેરવી લીધું
દક્ષિણ ઝોનમાં ઉદાસીનતાથી હજુ 1.66 લાખથી વધુ લોકો સેકન્ડ ડોઝથી વંચિત
પૂર્વ અને ઉત્તર ઝોનમાં પણ વેક્સિનેશનના ધાંધિયાં
આપણા અમદાવાદની વાત કરીએ તો શહેરમાં કોરોનાના રોજેરોજ 40થી 45 સત્તાવાર કેસ મ્યુનિ. આરોગ્ય વિભાગના ચોપડે આજેય નોંધાઈ રહ્યા છે એટલે એવું તો કહી જ ન શકાય કે કોરોના જતો જ રહ્યો છે. કોરોના હજુ ગયો નથી તે તંત્રના સત્તાવાર આંકડા દર્શાવે છે. તેમ છતાં આઘાતજનક બાબત એ છે કે અમદાવાદીઓએ કોરોનાના વેક્સિનેશનથી મોઢું ફેરવી લીધું છે. લોકોની આવી ઘોર ઉદાસીનતા કોરોના વેક્સિનના સેકન્ડ ડોઝમાં પ્રકાશમાં આવી છે. ગત તા. 15 જુલાઈથી શહેરમાં પ્રીકોશન ડોઝ અપાઈ રહ્યા છે પણ લોકોને સેકન્ડ ડોઝ લેવામાં રસ નથી એટલે સ્વાભાવિકપણે તેના થર્ડ ડોઝ (પ્રીકોશન ડોઝ)ની ચર્ચા પણ ક્યાંય થતી નથી. મ્યુનિ. તંત્ર તો લોકો વેક્સિનેટ થઈને કોરોના સામે સુરક્ષિત થાય તે દિશામાં ભારે જહેમત ઉઠાવે છે પણ હવે વાંક નાગરિકોનો છે. નાગરિકો જ વેક્સિનેશનને ભૂલી ગયા હોઈ આ બાબત વખાણવાલાયક નથી.
કોરોનાને હરાવવા માટે વેક્સિનેશન એકમાત્ર અસરકારક ઉપાય છે. તબીબી દૃષ્ટિએ પણ આનો સ્વીકાર થયો છે. જાન્યુઆરી-2022 એટલે કે આ વર્ષની શરૂઆતમાં આવેલી કોરોનાની થર્ડ વેવ વખતે વેક્સિનના બંને ડોઝ લેનારા સુરક્ષિત રહ્યા હતા તેને તબીબી આલમ પણ માને છે. ગત જૂન-2022માં આવેલી કોરોનાની ફોર્થ વેવ વખતે કોમોર્બિડ દર્દીનો કોરોના ભોગ લેતો રહ્યો હતો. તે સમયે કોરોનાના દરરોજના 300 જેટલા કેસ નોંધાતા હોઈ તબીબો પણ ફોર્થ વેવને હળવાશથી લેવા સામે લોકોને ચેતવતા હતા.
કોરોનાની બીક રાખ્યા વગર ઉજવ્યા તહેવારો
જોકે, 15 ઓગસ્ટ-સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારોને લોકોએ પહેલી વખત કોરોનાની બીક રાખ્યા વગર ભારે ધામધૂમથી ઊજવ્યો હતો. ગણેશોત્સવ વખતે તો સમગ્ર અમદાવાદ જાણે કે ગણેશમય બની ગયું હોય તે રીતે ગણેશભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. ચોતરફ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાનો જયઘોષ સાંભળવા મળતો હતો, જોકે ગણેશજીના પવિત્ર તહેવારો દરમિયાન પણ અમદાવાદમાં કોરોના તો હતો જ. તંત્રના ચોપડે કોરોનાના 40થી 45 કેસ નોંધાતા હતા.
અમદાવાદમાં રોજેરોજ નોંધાયા છે કોરોનાના કેસ
કોરોના તો આજે પણ અમદાવાદમાં જોવા મળે છે. ખુદ તંત્રના સત્તાવાર આંકડા મુજબ 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં કોરોનાના કુલ 191 કેસ મળ્યા હતા, જેમાંથી અમદાવાદના 40 કેસ હતા. તા. 16 સપ્ટેમ્બરે રાજ્યના કુલ 147 કેસ પૈકી અમદાવાદમાં 36 કેસ નોંધાયા હતા. 13 સપ્ટેમ્બરે રાજ્યમાં નોંધાયેલા કુલ 187 કેસ પૈકી અમદાવાદમાં 54 કેસ મળ્યા હતા. તા. 1 સપ્ટેમ્બરે રાજ્યમાં કુલ 182 કેસ સામે અમદાવાદમાં 59 કેસ તંત્રના ચોપડે ચડ્યા હતા. બીજા અર્થમાં ચાલુ સપ્ટેમ્બર મહિનામાં તા. 1થી 17 સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદમાં રોજેરોજ કોરોનાના કેસ નોંધાયા છે.
કોરોનાએ શહેરમાંથી લીધી નથી પૂરેપૂરી વિદાય
એક તરફ કોરોનાએ શહેરમાંથી પૂરેપૂરી વિદાય લીધી નથી, બીજી તરફ લોકોને વેક્સિનેશનમાં હવે કોઈ રસ રહ્યો નથી. કોરોનાના સેકન્ડ ડોઝની વિગત દર્શાવતા તંત્રના સત્તાવાર આંકડા મુજબ હજુ પણ 5,72,174 લોકોએ તેમનો સેકન્ડ ડોઝ લીધો નથી. દાણીલીમડા, બહેરામપુરા, મણિનગર, ઈસનપુર, વટવા, ખોખરા અને ઇન્દ્રપુરી વોર્ડ ધરાવતા દક્ષિણ ઝોનમાં લોકોની સેકન્ડ ડોઝ લેવાની ઉદાસીનતાથી તંત્ર પણ સ્તબ્ધ છે. તા. 1 માર્ચ, 2022ની સ્થિતિએ દક્ષિણ ઝોનમાં કુલ 1,68,144 લોકોએ સેકન્ડ ડોઝ લીધો નહોતો, જ્યારે 1 ઓગસ્ટની સ્થતિએ કુલ 1,67,311 લોકો સેકન્ડ ડોઝથી વંચિત હતા અને આઘાતજનક બાબત એ છે કે તા. 15 સપ્ટેમ્બરની સ્થિતિએ 1,66,968 લોકોના સેકન્ડ ડોઝ બાકી છે. બીજા અર્થમાં છેલ્લા દોઢ મહિનામાં દક્ષિણ ઝોનમાં માત્ર ને માત્ર વધુ 349 લોકો વેક્સિનેટેડ થયા છે. દક્ષિણ ઝોનમાં અમુક ધાર્મિક માન્યતાના કારણે લોકો વેક્સિન લેવા આગળ આવતા નથી, જોકે આ સ્થિતિ ચિંતાજનક છે. આ ઝોનમાં કોરોનાના સેકન્ડ ડોઝના વેક્સિનેશન માટે તંત્રે ખાસ અભિયાન શરૂ કરવાની જરૂર છે તેમ આવા બિહામણા ચિત્રથી ચર્ચાઈ રહ્યું છે. દક્ષિણ ઝોન બાદ પૂર્વ ઝોનમાં 1,55,519 લોકો, ઉત્તર ઝોનમાં 1,51,497 લોકો વેક્સિનના સેકન્ડ ડોઝથી વંચિત છે.