દેશના પાંચ રાજ્યોમાં કોરોનાના કેસે રફતાર પકડતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એક્શનમાં, પત્ર લખીને કોરોનાને કાબૂમાં લેવા આપી ચેતવણી
5 રાજ્યોમાં વધ્યા કોરોના કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે લખ્યો પત્ર
કોરોનાના કેસ કાબૂમાં લેવા માટે કરી અપીલ
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી આખો દેશ મુશ્કેલીમાં મુકાયો હતો. હાલમાં કોરોનાના કેસ ઓછા સામે આવી રહ્યા છે પરંતુ તેનો મતલબ એ નથી કે સાવચેતી ન રાખવી. કારણ કે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાએ ફરીથી રફતાર પકડી છે. છેલ્લા બે વર્ષથી વિશ્વ કોરોના મહામારીના ભયમાં જીવી રહ્યું છે. ઘણા દેશો હવે ધીમે ધીમે સામાન્ય જીવનશૈલી અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દેશોમાં આપણો દેશ પણ સામેલ છે. પરંતુ હવે ફરી એકવાર દેશના 5 રાજ્યોમાં કોરોનાના વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કોરોનાના વધી રહેલા કેસ પર લગામ લગાવવાની સલાહ આપી છે.
શું લખ્યું છે પત્રમાં ?
આ પત્રમાં દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમના કોવિડ પોઝિટીવ રેટ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કેરળમાં ગત સપ્તાહે 2321 નવા કેસ મળી આવ્યા છે. જે સમગ્ર દેશના કોરોના કેસના 31.8 ટકા છે, તેની સાથે જ પોઝિટીવીટી રેટ 13.45 ટકાથી વધીને 15.53 ટકા થઈ ગયો છે. મિઝોરમમાં 814 નવા કેસ મળી આવ્યા છે, જે દેશના કુલ કેસના 11.16 ટકા છે. અહીં પણ પોઝિટીવીટી રેટ 14.38 ટકાથી વધીને 16.48 ટકા થયો છે.
દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેવી છે સ્થિતિ ?
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 794 નવા કેસ મળી આવ્યા છે, જે દેશના કુલ કેસના 10.9 ટકા છે. અહીં પોઝિટીવીટી રેટ 0.39 ટકાથી વધીને 0.43 ટકા થયો છે. દિલ્હીમાં 826 નવા કેસ સામે આવ્યા છે, જે દેશના કેસના 11.33 ટકા છે. દિલ્હીમાં પણ પોઝિટીવીટી રેટ 0.51 ટકાથી વધીને 1.25 ટકા થયો છે. તે જ સમયે, હરિયાણામાં 416 નવા કેસ મળી આવ્યા છે. જે દેશના કેસના 5.70 ટકા છે. અહીં પણ પોઝિટીવીટી રેટ 0.51 ટકાથી વધીને 1.06 ટકા થયો છે.
સાવચેતી પૂર્વક કામ કરવાની સલાહ
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે 5 રાજ્યોને પત્ર લખ્યો છે. જેમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 હજાર 109 કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોના વાયરસ રોગનો પોઝિટીવીટી રેટ એક ટકાથી ઓછો છે. હાલમાં ભારતમાં કોરોના વાયરસના કુલ 11,492 સક્રિય દર્દીઓ છે. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં 5 રાજ્યોમાંથી કોરોનાના વધતા કેસ નોંધાયા છે. આ આંકડાઓએ સરકારની ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે ચેતવણી આપી છે કે આ પાંચ રાજ્યોએ પરીક્ષણ વધારવું જોઈએ અને જો જરૂર પડે તો કન્ટેઈનમેન્ટ ઝોન વધારવામાં અચકાવું નહીં. પત્રમાં લખવામાં આવ્યું છે કે આ રાજ્યોની બેદરકારી આખા દેશને મોંઘી પડી શકે છે.