લગ્ન સમારંભમાં જો 150ની જગ્યાએ 200 થાય તો કડક કાર્યવાહી પણ જો કોઈ પણ પાર્ટીના જાહેર સમારંભમાં ટોળા ભેગા કરવામાં આવે તો કોરોના નિયમમાં છૂટછાટ..!
નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ગાઇડલાઇનનો ભંગ
400ની છૂટ સામે 700થી વધુ લોકો એકઠા થયા
મહેસાણા ટાઉનહોલ ખીચોખીંચ ભરાયું
મહેસાણામાં DyCM નીતિન પટેલની આગેવાનીમાં કોરોના SOPનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભાજપ તરફથી આયોજીત જન આશીવાર્દ સંમેલનમાં કોરોનાનો એક પણ નિયમ ન જળવાતો જોવા ન મળ્યો. 400 લોકોને જાહેર સમારંભમાં છૂટ આપવામાં આવી છે. પણ મહેસાણા ટાઉન હૉલ ખાતે અંદાજે 700થી વધુ લોકો એકઠા કરવામાં આવ્યા. તેમાંથી ઘણા લોકો તો માસ્ક વગર પણ દેખાઈ રહ્યા હતા સામાજિક અંતરની વાત તો દૂર રહી. નીતિન પટેલ સિવાય આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત હતા. તેમ છતાં કાર્યકરો સહિત નેતાઓ પણ ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઇનનો ભંગ કરી રહ્યા હતા. પોલીસ ગમે તે જાહેર સ્થળે સામાન્ય લોકોને કોરોના નિયમનું પાલન કરાવી શકે છે.
કોરોના નિયમો નેતાઓ માટે કેમ નહીં?
ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે રાજકીય સભામાં લોકોની ભીડ જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. તેમાં પણ નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જ નિયમભંગ થતા હોય તો કોને કહેવા જવું. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપની જન આશીર્વાદ યાત્રા, કોંગ્રેસની કોરોના યાત્રા અને AAPની જન સંવેદના મુલાકાત દ્વારા અત્યારથી ચૂંટણીના કામે લાગી ગયા છે. પણ સાથે તમામ પક્ષો કોરોના નિયમોનો પણ ભંગ કરી રહ્યા છે. કોઈ માસ્ક વગર યાત્રા કરી રહ્યું છે તો કોઈ ગામડામાં લોકો ભેગા કરી કોરોના નોતરી રહ્યું છે. ત્યારે મહેસાણામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જ એક સભામાં લોકોની ભીડ જોવા મળી હતી.
16 ઓગસ્ટે નીતિન પટેલે સ્વીકાર્યુ હતું કે રાજકીય કાર્યક્રમમાં ભીડ થાય છે
સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં એકઠી થતી ભીડ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું . તેણે સ્વિકાર કર્યો હતો કે કેટલીક વાર કાર્યક્રમોમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થતું નથી. પત્રકારો સાથે વાત કરતા તેમણે એ પણ કહ્યું કે, મોટાભાગે રેલીઓમાં અમે કાળજી રાખતા હોઈએ છીએ, પરંતુ કેટલીકવાર કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈ જતા હોય છે. તેમણે કહ્યું કે 7 ઓગસ્ટે સરકારને 5 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને જ કરવામાં આવી હતી.
પણ જન આશીર્વાદ યાત્રા દરમિયાન ખુલ્લે આમ નિયમોના ઉડતા ધજાગરા એવું સૂચવી રહ્યા છે કે, નિયમ ફક્ત સામાન્ય જનતા માટે જ છે. પોલીસ ગરીબોના સમૂહ લગ્ન કોરોના નિયમની આડમાં રોકાવી શકે છે. પણ નેતાઓની રેલીઓમાં કોરોના નિયમનું પાલન થાય તેનું આયોજન કરી શકતી નથી. હાઈકોર્ટ પણ નિયમના પાલન અંગે સરકારને ટકોર કરી ચૂકી છે. નિયમ બન્યા હોય તો બધાએ પાળવા જરૂરી છે. એ પછી કોઈ પક્ષ હોય કે સામાન્ય જનતા. પણ હાલ પરિસ્થતિ સાવ ઊલટ છે જો લગ્ન સમારંભમાં જો 150ની જગ્યાએ 200 થાય તો કડક કાર્યવાહી કરવાં આવે છે સામે જો કોઈ પણ પાર્ટીના જાહેર સમારંભમાં ટોળા ભેગા કરવામાં આવે તો કોઈ પણ કોરોના નિયમ લાગુ થતો નથી કે કોઈ દંડ વસૂલવામાં આવતો નથી..આવું કેમ? માટે અમે પ્રશ્ન કરી રહ્યા છીએ કે નીતિન પટેલ સાથે તમામ ભાજપના કાર્યકતાને કે હજુ ત્રીજી લહેર આવવાની સંભાવના છે પણ જો આમ રાજકીય મેળાવડામાં લોકો ભેગા કરશો તો ત્રીજી લહેર પાક્કી છે.