DGP આશિષ ભાટીયાએ કહ્યું 7 દિવસમાં સોશિયલ ડિસ્ટન્સના 3830 ગુના દાખલ, 3206ની ધરપકડ થઈ, હોટલ માલિકોને કહ્યું 75%થી વધુ લોકો હશે તો કેસ દાખલ કરીશું
કોરોના ગાઈડલાઈન પર DGPની પ્રેસ કોન્ફરન્સ
રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરાશે
નિયમો ભંગ કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે
ગઈ કાલે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક બાદ નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રે 10 સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકવાની જોગાવાઈ હતી. લગ્ન પ્રસંગમાં 150ની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન મામલે DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી કોરોના કેસ વધતાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરવા આદેશ આપી દીધા હોવાની વાત કરી છે.
.. તો કેસ દાખલ થશે
DGP આશિષ ભાટિયાએ કહ્યું હતું કે લગ્નમાં 150 લોકોને મંજૂરી, રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે, સુરેન્દ્રનગર, રાજકોટ રૂરલ,ધાંગધ્રામાં રાત્રી કર્ફ્યુ લાગુ છે તેનું લોકો ધ્યાન રાખે. હોટલ અને રેસ્ટોરન્ટ માલિકને ચેતવણી આપતા કહ્યું કે જો ગાઈડલાઇન મુજબ 75%થી વધુની વસ્તી હોટલમાં જોવા મળશે તો પોલીસ કેસ દાખલ કરશે. આ સાથે જ અન્ય નિયત સ્થળે મંજૂરી કરતા વધુ લોકો હશે તો કડક કાર્યવાહી થશે તેવી હામ ભરી છે.
અમદાવાદ 25000 લોકો, 4750 રાજકોટ લોકો, જામનગર 4716 લોકો પર દંડાત્મક કાર્યવાહી
શું છે નવી SOP?
રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે.હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં હતો જેમાં હવે વધુ 17 શહેરોનો સમાવેશ કરતા કુલ 27 શહેરોમાં હવે નાઈટ કર્ફ્યૂનો અમલ કરાશે.
29 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે આ નવી ગાઈડલાઈન
રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે. તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે.
શુક્રવારે ગુજરાતમાં 21,225 કેસ સામે આવ્યા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,225 નવા કેસ નોંધાયા છે. આજે 9254 સાજા થયા અને 16 દર્દીના મોત થયા છે. હાલ 116843 એક્ટિવ કેસ છે. જેમાંથી 172 દર્દી વેન્ટિલેટર પર છે અને બાકીના તમામ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 895730 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે, તો 10215 દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ ઘટીને 87.58 ટકા પર પહોંચ્યો છે.