બે ડોઝ આપવામાં આવતી વેક્સિનની સુરક્ષા છથી આઠ મહિનામાં ઘટવા લાગે છે
US જેવાં દેશો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ચોથો ડોઝ આપવા આગળ વધ્યાં
કોરોના મહામારી વિરૂદ્ધ રસીકરણ એ સૌથી મોટું શસ્ત્ર છે. વાયરસને જડમૂળથી દૂર કરવા માટે ઝડપી રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. દેશની અડધાથી વધુ વસ્તીને રસીકરણનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે એવાં ઘણાં લોકો છે કે જેઓને વેક્સિનનાં બંને ડોઝ મળ્યા છે. જો કે, રસીકરણની વચ્ચે કોવિડ વેક્સિન વિશે ઘણી બધી બાબતો સામે આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર, દેશમાં કોવિડની રસી લેનારા લગભગ 30 ટકા લોકો એવું માને છે કે તેઓ વાયરસથી એટલાં સુરક્ષિત નથી કે જેટલું તેઓ વિચારે છે.
કેટલાંક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, બે ડોઝ આપવામાં આવતી વેક્સિનની સુરક્ષા છથી આઠ મહિનામાં જ ઘટવા લાગે છે. વાયરસ વિરૂદ્ધ રસીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે, જેના કારણે રસી લેવા છતાં વાયરસના સંક્રમણનું જોખમ રહે છે.
દરેકને બૂસ્ટર શોટ મળે તેવી જોગવાઈ કરવી જોઈએ
નિષ્ણાંતોનું માનવું છે કે, જો દેશ કોરોનાની ચોથી લહેરનો સામનો કરે છે તો ફરી એક વાર વાયરસના સંક્રમણનો ખતરો ઉભો થઇ શકે છે. નિષ્ણાંતો સૂચવે છે કે, ભારતે બૂસ્ટર ડોઝની પોલિસીની સ્પષ્ટ નીતિ અમલમાં મૂકવી જોઈએ કે જેમાં છ મહિનામાં કે તે પહેલાં તેનો બીજો ડોઝ લેનારાઓ માટે બૂસ્ટર ડોઝની જોગવાઈ હોવી જોઈએ. પછી ભલે તે કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય.
હાલમાં, ભારતમાં માત્ર હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર શૉટની મંજૂરી મળી ગઇ છે. જ્યારે બીજી તરફ યુએસ જેવાં દેશો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વધારાનો ચોથો ડોઝ આપવા આગળ વધી ગયા છે. આ સાથે જ 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમનું પ્રાથમિક રસીકરણ પૂર્ણ થયાના પાંચ મહિના બાદ ત્રીજા ડોઝની મંજૂરી આપવામાં આવી છે.
ડૉ. મહેરાએ કારણ સમજાવતા જણાવ્યું કે, “કોવિડ-19 સામે રોગપ્રતિકારક શક્તિના બે શસ્ત્રો છે. કોવિડ જેવાં વાયરલ સંક્રમણમાં હ્યુમરલ ઈમ્યુનિટી એન્ટિબોડીઝ રોગને રોકવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. જો કે, એન્ટિબોડી ટાઇટ્રેસ સામાન્ય રીતે છથી આઠ મહિનામાં ઘટે છે, જેમ કે કેટલાંક અભ્યાસોમાં જોવા મળ્યું છે. તેની પાછળનું એક કારણ એ છે કે, પ્લાઝ્મા કોશિકાઓને બનાવનાર એન્ટિબોડીઝનું આયુષ્ય ઓછું થવાનું છે. જો કે કોશિકા-મધ્યસ્થ પ્રતિરક્ષા હજી પણ સક્રિય છે, વધુ સારી સુરક્ષા માટે હ્યુમરલ ઇમ્યુનિટી હોવી મહત્વપૂર્ણ છે અને તેથી બૂસ્ટર ડોઝની જરૂરિયાત છે.
અમે બૂસ્ટર ડોઝ પર નિર્ણય લેવા માટે કેસ વધે તેની રાહ ના જોઇ શકીએ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ લિવર એન્ડ બિલિયરી સાયન્સના વાઇસ ચાન્સેલર ડૉ. એસ.કે. સરીને જણાવ્યું હતું કે, યુએસ, યુકે અને ઇઝરાયેલમાં પ્રકાશિત થયેલા કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે બે ડોઝની અસરકારકતા પાંચથી છ મહિનામાં ઘટી જાય છે. અમે બૂસ્ટર ડોઝ પર નિર્ણય લેવા માટે કેસ વધે તેની રાહ ના જોઇ શકીએ. તેઓએ જણાવ્યું કે, છથી આઠ મહિના પહેલાં બીજો ડોઝ લેનાર કોઈ પણ વ્યક્તિ માટે પ્રક્રિયા હવે શરૂ થવી જોઈએ. ઉપરાંત, અમારે વધુ સારી અસરકારકતા માટે રસીઓનું મિશ્રણ કરવાના વિચારને શોધવાની જરૂર છે.