ભારતમાં સતત વધતાં કોરોના વાયરસના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને વેક્સિનેશન મુદ્દે મહત્વના આદેશ આપ્યા છે.
ભારતમાં કોરોના વાયરસની ઘાતક લહેર
સતત વધતાં કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં
રાજ્યોને પત્ર લખીને આપ્યા આદેશ
દેશમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે કંટ્રોલમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે નવી રણનીતિ પર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને વધારે પ્રભાવિત જિલ્લાઓમાં આગામી બે સપ્તાહની અંદર જ 45 વર્ષથી ઉપરની વયના લોકોને રસી આપી દેવાના આપ્યા છે. વેક્સિનેશનમાં તેજી લાવવા માટે કેન્દ્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એક્શન પ્લાન બનાવવા માટે આદેશ
આ સાથે જ જે કેસ સામે આવી રહ્યા છે તેમના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા 25થી 30 લોકોને ટ્રેસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે જેથી સંક્રમણને રોકવામાં મદદ મળી શકે. રાજેશ ભૂષણે કહ્યું કે પ્રત્યેક જિલ્લામાં જ્યાં કેસ વધારે હોય કે ના હોય, એક ટીમ બનાવવામાં આવે અને જે સમયસીમા અનુસાર કાર્ય યોજના તૈયાર કરવામાં આવે અને જવાબદારીનું નિર્વહન કરવામાં આવે. જિલ્લ સ્તર પર યોગ્ય જવાબદારી સાથે ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન બનાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યોની બેદરકારી પર કેન્દ્રની સખ્તી
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યોના સચિવોને પત્ર લખ્યો જેમાં આ વાત કહેવામાં આવી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આ સમયે કરવામાં આવતી બેદરકારીની ભારે કિંમત ચૂકવવી પડશે. કેન્દ્રએ સાફ શબ્દોમાં રાજ્યોને ચેતવણી આપતા કહ્યું છે કે આઇસોલેશનના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે પરંતુ તેમની યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી. આ પ્રકારની લાપરવાહી ચલાવી ન લેવાય.
મોટા કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવા આદેશ
રાજ્યોને કેન્દ્રએ સલાહ આપી છે કે માત્ર પરિવારોને આઇસોલેટ કરી દેવાથી ફાયદો નહીં થાય. આવા મામલાઓમાં મોટા મોટા કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવાની જરૂર છે જેની સીમા સ્પષ્ટ હોય અને ત્યાં કડકાઇથી પ્રતિબંધો લાગુ કરવામાં આવે. આ પ્રકારના પ્રતિબંધ ઓછામાં ઓછા 14 દિવસ સુધી લાગુ કરવા જરૂરી છે.