રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનું હાઈકોર્ટનું તારણ છે, સાથે કોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી દીધી છે
રાજ્યમાં કોરોના અંગે હાઈકોર્ટનું તારણ
સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ કરશે સુનાવણી
ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ પર હાઈકોર્ટ ખુદ મેદાને આવી છે. રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હોવાનું હાઈકોર્ટનું તારણ છે. જેને લઈ કોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજીઓને ગણાવી છે. જેમાં સ્મશાન ગૃહોની સ્થિતિ, હોસ્પિટલમાં બેડની અછત, ઈન્જેક્શનની ઘટ વગેરે જેવા મુદ્દાઓ પર સુનાવણી યોજાશે. સાથે કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવાના આદેશ કર્યા છે.
સાથે હાઈકોર્ટે કોવિડ-19 માટેના મેનેજમેન્ટ મુદ્દે પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ સમગ્ર અરજીઓ મામલે આવતીકાલે ચીફ જસ્ટીસની વડપણવાળી બેચ સુનવણી પણ કરશે. તો રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું કોર્ટે તારણ કાઢ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આંકડા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5469 કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 27,568 પર પહોંચ્યો છે.