કોરોનાનાં વધતાં કેસોએ ફરી ચિંતા વધારી છે. એકલા કેરળમાં જ 30% કેસોમાં વધારો થયો હતો તો ગઇકાલે 34 દિવસ બાદ મૃત્યુઆંક આટલો વધારે નોંધાયો હતો.
એક સમયે કોરોનાનાં સતત ઘટી રહેલા કોરોનાનાં કેસના કારણે એવું લાગતું હતું કે હવે કોરોના ધીમે ધીમે ભારતમાંથી વિદાય લઈ રહ્યો છે. પરંતુ હવે ફરી ઊંચકાયેલી કેસ સંખ્યાએ સરકાર અને પબ્લિકના માથાના દુખાવામાં વધારો કર્યો છે.
24 કલાકમાં 40,000 કેસ
છેલ્લા કેટલાક સમયથી કેરળમાં ફરી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જો કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કેસ સંખ્યા 40 હજારથી પણ ઉપર નોંધાઈ હતી. આટલું જ નહીં પરંતુ કોરોનાનાં કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં પણ વધારો થયો હતો.
મળેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 46,265 નવા કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત 605 લોકોના મૃત્યુ થયા હતા. જો કે આ દરમિયાન 34,242 લોકો સાજા પણ થયા હતા.
દેશમાં અચાનક વધી રહેલી કોરોનાની કેસ સંખ્યાના કારણે સરકારની ચિંતામાં પણ વધારો થયો હતો.
કેરળમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 30% કેસ વધ્યા
એક તરફ દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત ઘટી રહ્યા હતા ત્યાં એકલા કેરળ રાજ્યમાં જ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 31,445 કેસ આવ્યા હતા. અને 215 લોકોના મોત થયા હતા. આ સાથે 20,271 લોકો સાજા પણ થઈ ગયા હતા. હાલમાં રાજ્યમાં પોઝિટીવીટી રેટ 19.03% છે.
34 દિવસ પછી નોંધાઈ આટલી વધુ મૃત્યુ સંખ્યા
મંગળવારના આંકડા મુજબ, દેશભરમાં 37,593 નવા કેસ નોંધાયા અને 648 લોકોના મોત થયા. 34 દિવસ પછી મૃત્યુઆંક એટલો ઊંચો છે. તે જ સમયે, એવરેજ નેશનલ રિકવરી રેટ 97%ની નજીક છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોમાંથી 65 ટકા કેસ માત્ર એક રાજ્ય કેરળમાંથી નોંધાયા છે. કેરળમાં હાલ સ્થિતિ ચિંતાજનક છે. છેલ્લે 20 મેના રોજ, રાજ્યમાં એક દિવસમાં 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.