દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 2 લાખથી વધારે કેસ, તો ઓમીક્રોનના કેસ 6 હજારને પાર
દેશમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર
કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા
ઓમીક્રોનના કેસ 6 હજારને પાર
દેશમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. સાથે જ કોરોનાનો ખતરનાક વેરિએન્ટ ઓમીક્રોના કેસ પણ ઝડપી વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2 લાખ 68 હજાર 833 કેસ નોંધાયા છે. જ્યારે 402 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જ્યારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં 6041 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટીવી રેટ 16.66 ટકા થવા પામ્યો છે. મોટી વાત તો એ છે કે ગઇકાલની તુલનામાં આજે 4 હજાર 631 કેસ વધારે નોંધાયા છે. મહત્વનુ છે કે 14 જાન્યુઆરીએ કોરોનાના 2,64,202 કેસ નોંધાયા હતા.
એક્ટિવ કેસ વધીને 14 લાખ 17 હજાર 820
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 14 લાખ 17 હજાર 820 થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 85 હજાર 752 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ ગઈકાલે એક લાખ 22 હજાર 622 લોકો સાજા થયા હતા. અત્યાર સુધીમાં 3 કરોડ 49 લાખ 47 હજાર 390 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થયા છે.
અત્યાર સુધીમાં 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. 14 જાન્યુઆરીએ 58 લાખ 2 હજાર 976 ડોઝ આપવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે અત્યાર સુધીમાં રસીના 156 કરોડ 2 લાખ 51 હજાર 117 ડોઝ આપવામાં આવ્યા છે.
ઓમિક્રોનના કેટલા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં 6 હજાર 41 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. ઓમીક્રોનના મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં સૌથી વધુ વધુ કેસ નોંધાયા છે.